વિશ્વ પર્યાવરણ દિવસની અંબાજીમાં થશે રાજ્યકક્ષાની ઉજવણી

0
156

૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ
શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે કરાશે
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌——————————–
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિલ્હી ખાતેથી મેન્ગ્રુવ ઇનિશયેટીવ ફોર શોરલાઇન હેબીટાટ અને ટેંજીબલ ઇનકમ યોજના લોન્ચ કરશે

રાજ્યના ૭૫ ગામોમાં સ્થાનિક ઉદ્યોગગૃહોની મદદથી પ્લાસ્ટીક એકત્રિકરણની કામગીરીનો પ્રારંભ કરાશે : તે પૈકી ચાર ગામોના સરપંચોનું સન્માન કરાશે

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે ૫ જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. આ દિવસે વડાપ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી દિલ્હી ખાતેથી MISTHI (મેન્ગ્રુવ ઇનિશયેટીવ ફોર શોરલાઇન હેબીટાટ અને ટેંજીબલ ઇનકમ) યોજના લોન્ચ કરશે.
આ દિવસે રાજ્યના ૭૫ ગામોમાં સ્થાનિક ઉદ્યોગગૃહોની મદદથી પ્લાસ્ટીક એકત્રિકરણની કામગીરીનો પ્રારંભ કરાશે તથા તે પૈકીના ચાર ગામોના સરપંચોનું સન્માન કરાશે. MISTHI યોજનાના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતના ૧૧ દરિયાકિનારાના જિલ્લાઓમાં વિવિધ ૨૫ સ્થળોએ કાર્યક્રમો યોજી વડાપ્રધાનના દિલ્હી ખાતેના કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ઉપરાંત ૨૫ જગ્યાઓ પર સ્થાનિક સંસદ સભ્યઓ, ધારાસભ્યો તથા અન્ય પદાધિકારીઓને આમંત્રિત કરી મેન્ગ્રુવ વાવેતરનો પ્રારંભ કરવામાં આવશે.
ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ સ્થળોએ વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરાશે. ઉપરાંત અમરેલી, અરવલ્લી, ગાંધીનગર, છોટાઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, પાટણ, પોરબંદર, મહિસાગર, મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લાની પસંદગીની શાળાઓમાં વૃક્ષારોપણ કરાશે.