
અમૃતસર: પંજાબના ઇતિહાસમાં 6 જૂનની તારીખ વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષ 1984માં થયેલા ઐતિહાસિક અને વિવાદાસ્પદ Operation Blue Starની વરસી નિમિત્તે શનિવારે Golden Temple પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને લોકો એકત્રિત થયા હતા. આ દરમિયાન કેટલાક લોકો દ્વારા ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે કેટલાક લોકોના હાથમાં જરનૈલ સિંહ ભિંડરાનવાલેના પોસ્ટરો પણ જોવા મળ્યા હતા.
મળતી માહિતી અનુસાર, Akal Takht નજીક એકત્ર થયેલા કેટલાક લોકો દ્વારા ખાલિસ્તાન સમર્થક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી હતી.
આ દિવસ શીખ સમાજ અને પંજાબના રાજકીય ઇતિહાસ માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. જેના કારણે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પંજાબ પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સુવર્ણ મંદિર અને આસપાસના વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને કાયદો-વ્યવસ્થા સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. દિવસ દરમિયાન થોડો તણાવપૂર્ણ માહોલ સર્જાયો હોવા છતાં કોઈ મોટી અપ્રિય ઘટના નોંધાઈ નથી.
ઉલ્લેખનીય છે કે ઓપરેશન બ્લુ સ્ટારની વરસી દર વર્ષે પંજાબમાં ચર્ચાનો વિષય બનતી રહે છે. આ પ્રસંગે ધાર્મિક, સામાજિક અને રાજકીય સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વિશેષ સતર્કતા રાખે છે.
વી.આર. લાઈવ ન્યૂઝ માટે
વેબ ડેસ્ક, અમૃતસર



