Vadodara Tragedy: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાલાવાવ ગામમાંથી એક અત્યંત કરુણ અને ગમખ્વાર સમાચાર સામે આવ્યા છે. ગામના જ તળાવમાંથી બે માસૂમ દીકરીઓના પિતાનો રહસ્યમય સંજોગોમાં ડૂબી જવાથી મોત થયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા બે દિવસથી ગુમ યુવકની લાશ તળાવના પાણી પર તરતી જોવા મળતા ગ્રામજનોના ટોળેટોળાં કિનારે ઉમટી પડ્યા હતા. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં આક્રંદ અને કરુણ કલ્પાંતના દ્રશ્યો સર્જાયા છે.

Vadodara Tragedy: બે દિવસથી પત્ની અને પરિવારજનો કરતા હતા શોધખોળ
મળતી વિગતો અનુસાર, વાલાવાવ ગામના રહીશ રાકેશ ઉર્ફે કાનજીભાઈ રાવજીભાઈ પરમાર (ઉંમર આશરે ૩૫ વર્ષ) ગત બે દિવસથી અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા અને પરત આવ્યા ન હતા. કાનજીભાઈ ઘરે ન ફરતા તેમની પત્ની, સંતાનો અને પરિવારના અન્ય સભ્યો ભારે ચિંતામાં મુકાયા હતા. પરિવારજનો છેલ્લા બે દિવસથી સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં તેમની સતત શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ કાનજીભાઈનો કોઈ પતો લાગ્યો ન હતો.

Vadodara Tragedy: તળાવમાંથી લાશ મળતાં જ ગ્રામજનો ચોંકી ઉઠ્યા
આ દરમિયાન, આજે વાલાવાવ ગામના તળાવમાં એક યુવકની લાશ તરતી હોવાની વાત વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક તળાવ કિનારે પહોંચીને જોયું તો આ મૃતદેહ અન્ય કોઈનો નહીં પરંતુ છેલ્લા બે દિવસથી ગુમ કાનજીભાઈ પરમારનો જ હતો. આ દ્રશ્ય જોતાં જ પરિવારજનો પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પિતાની છત્રછાયા ગુમાવનારી બે નાની દીકરીઓ અને પતિના મોતના આઘાતમાં ગરકાવ પત્નીના રુદનથી વાલાવાવ ગામની ધરતી પણ ધ્રુજી ઉઠી હતી.
Vadodara Tragedy: પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ: મોતનું રહસ્ય અકબંધ
ઘટનાની જાણ થતાં જ ડેસર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક અસરે વાલાવાવ તળાવ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી કાનજીભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવ્યો હતો અને પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ડેસરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો.
કાનજીભાઈ તળાવ સુધી કેવી રીતે પહોંચ્યા અને તેઓ પાણીમાં કેવી રીતે ડૂબ્યા, આ અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી કોઈ અન્ય કારણ? તે અંગેનું રહસ્ય હાલ પૂરતું અકબંધ છે. ડેસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પીએમ રિપોર્ટ અને આસપાસના લોકોની પૂછપરછના આધારે આગળની ઊંડી તપાસ શરૂ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
રાણી તળાવની ‘હનીફા’ બિલ્ડિંગના કાપડના શો-રૂમમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ૧૦થી વધુ લોકોના જીવ બચાવ્યા




