Tragedy on Srinagar-Leh Highway:જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર શુક્રવારે એક મોટી કુદરતી હોનારત સર્જાઈ છે. જોજિલા પાસ પાસે આવેલા ઝીરો પોઈન્ટ અને મિનીમાર્ગ વચ્ચે થયેલા ભયાનક હિમસ્ખલન (Avalanche) ને કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક પ્રવાસીઓ હજુ પણ બરફ નીચે ફસાયા હોવાની ભીતિ છે.
Tragedy on Srinagar-Leh Highway:એક ડઝન વાહનો પર પડ્યો બરફનો પહાડ
શુક્રવારે બપોરે જ્યારે હાઈવે પર વાહનોની અવરજવર ચાલુ હતી, ત્યારે અચાનક પહાડો પરથી બરફના મોટા સ્તરો ધસી આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આશરે એક ડઝન જેટલા વાહનો પળવારમાં જ બરફના જાડા થર નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Tragedy on Srinagar-Leh Highway:યુદ્ધના ધોરણે બચાવ કામગીરી: BRO અને NDRF તૈનાત
ઘટનાની ગંભીરતાને જોતા લદ્દાખના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ તાત્કાલિક કારગિલના ડીસી અને એસએસપીને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્ય તેજ કરવા આદેશ આપ્યા છે. હાલમાં Border Roads Organization (BRO) અને ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમો ભારે હિમવર્ષા અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ બરફ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.

કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કરી સંવેદના
કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ જાનહાનિ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, “જોજિલા પાસ પર થયેલી આ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. સરકાર અસરગ્રસ્તો અને ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે સતત મોનિટરિંગ કરી રહી છે.”
હાઈવે બંધ: પ્રવાસીઓ ફસાયા
હિમસ્ખલનને કારણે શ્રીનગર-લેહ હાઈવે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તામાં સેંકડો પ્રવાસીઓ અને માલસામાન ભરેલી ટ્રકો ફસાઈ ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓને હાલ આ રૂટ પર મુસાફરી ન કરવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.




