સીએમ સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં સાંભળશે ફરિયાદ

0
67

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૫ મે ગુરૂવારના રોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ માટેના પ્રશ્નો સવારે ૯થી ૧૧:૩૦ દરમિયાન રુબરૂમાં સ્વિકારવામાં આવશે.આ ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવે છે. તદઅનુસાર, તા. ૨૫ મે ગુરૂવારે જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવો, અધિકારીઓ, વિભાગોના વડાઓને તેના સુચારૂ નિવારણ માટે માર્ગદર્શન આપશે.

તમને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ૨૦૦૩માં આ ‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’ સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરાવી છે. સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તાજેતરમાં સ્વાગત સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દાયકાથી કાર્યરત આ સુશાસન પ્રણાલીને વધુ લોકાભિમુખ બનાવી નાગરિકોના પ્રશ્નોના સુચારૂ નિવારણ માટે ‘સ્વાગત’ કાર્યક્રમને આવનારા દિવસોમાં વધુ અદ્યતન ટેક્નોલોજીથી સુદ્રઢ બનાવવા પ્રતિબદ્ધ છે.