Surat Flood Crisis: સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતની મુલાકાત લીધી હતી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીએ ખાડી વિસ્તારના કાયમી નિકાલ માટે ₹500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે.

Surat Flood Crisis: બેઠકમાં કડક વલણ: અધિકારીઓના ફોન જમા કરાવ્યા
આ બેઠક અત્યંત શિસ્તબદ્ધ અને કડક રહી હતી. બેઠકમાં પ્રવેશતા પહેલા તમામ અધિકારીઓ, મનપા કમિશનર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના મોબાઈલ ફોન બહાર જમા કરાવી દેવામાં આવ્યા હતા. અંદાજે બે કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં સ્થાનિક ધારાસભ્યોએ પૂર પ્રભાવિત વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. તંત્રની બેદરકારી સામે લાલઘૂમ થયેલા મુખ્યમંત્રીએ ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે અધિકારીઓને આકરી તાકીદ કરી છે.

Surat Flood Crisis: મુખ્યમંત્રીના મુખ્ય આદેશો:
- ₹500 કરોડનું પેકેજ: ખાડીના રિ-ડેવલપમેન્ટ, તેને ઊંડી કરવા અને આધુનિકીકરણ માટે સરકારે ₹500 કરોડ ફાળવ્યા છે.
- ગેરકાયદે દબાણો પર બુલડોઝર: ખાડીના કિનારે આવેલા તમામ ગેરકાયદે બાંધકામોને કોઈપણ રાજકીય વગ વગર તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- સહાયની સમયમર્યાદા: પૂર અસરગ્રસ્તોને કેશડોલ અને ઘરવખરીની સહાય આવતીકાલ સાંજ સુધીમાં એટલે કે 24 કલાકમાં જ પહોંચાડી દેવા કડક આદેશ અપાયા છે.
- જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી: રસ્તાઓ અને અન્ય કામોમાં ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરો અને તેમની સાથે સંડોવાયેલા અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. હલકી ગુણવત્તાવાળા કામ કરનારાઓને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
Surat Flood Crisis: “ભૂતકાળની ભૂલ ફરી કેમ?” – હર્ષ સંઘવી
બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ પ્રશાસનને પૂછ્યું છે કે જે નહેર અને ખાડીના કારણે અગાઉ સમસ્યા થઈ હતી, તે જ ભૂલ ફરી કેવી રીતે થઈ? આ અંગે તપાસ ચાલી રહી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
Surat Flood Crisis: સર્વે બાદ રાહત પેકેજની શક્યતા
પૂરને કારણે વેપારીઓ અને નાગરિકોના ઘરો તથા દુકાનોમાં થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરવા માટે વિશેષ ટીમો કામે લગાડવામાં આવી છે. સર્વે રિપોર્ટના આધારે આગામી દિવસોમાં રાજ્ય સરકાર અસરગ્રસ્તો માટે વિશેષ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત કરશે.
આજે સાંજ સુધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવા માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે, જેથી જનજીવન વહેલી તકે સામાન્ય બની શકે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સુરતના પોદાર માર્કેટમાં જળબંબાકાર: બે દિવસના વરસાદે વેપારીઓને આપ્યો ₹250 કરોડનો ફટકો




