Surat Fire Terror: સુરતના અડાજણ વિસ્તારમાંથી આજે વહેલી સવારે આગની એક અત્યંત ચિંતાજનક અને ભયાવહ ઘટના સામે આવી છે. અડાજણ ચાર રસ્તા પાસે આવેલી BAPS હોસ્પિટલની નજીક આવેલા પતરાના શેડની દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં એપોલો ફાર્મસીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે બાજુમાં આવેલા ટીવીએસ ઈવી (TVS EV)ના શો-રૂમ અને ક્રિષ્ના રેસ્ટોરન્ટને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે, પરંતુ સદનસીબે એક મોટી જાનહાનિ ટળી છે.

Surat Fire Terror: આગ એટલી પ્રચંડ કે લોખંડનું મજબૂત માળખું પણ ઓગળી ગયું!
આગ એટલી પ્રચંડ અને ભયાવહ હતી કે તેના કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય ગરમી પેદા થઈ હતી. પતરાના શેડમાં બનાવવામાં આવેલી આ દુકાનોમાં લાગેલી આગની ભયંકર ગરમીના કારણે દુકાનોનું મજબૂત લોખંડનું સ્ટ્રક્ચર પણ ઓગળી ગયું હતું અને જોતજોતામાં નમી પડ્યું હતું. લોખંડનું આખું માળખું નમી પડવાને કારણે આસપાસના લોકોમાં વધુ ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ધુમાડાના કાળા ડિબાંગ વાદળો આકાશમાં દૂર-દૂર સુધી દેખાતા હતા.

Surat Fire Terror: હાલ કુલિંગની કામગીરી ચાલુ: ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર
આ દૂર્ઘટના અંગે વિગતવાર માહિતી આપતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ. ડી. ધોબીએ જણાવ્યું હતું કે,
“અમને દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ આગ આજુબાજુની અન્ય દુકાનોમાં પણ પ્રસરી ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પાલનપુર, જહાંગીરપુરા, મોરાભાગળ અને મુગલીસરા ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે.”

Surat Fire Terror: શો-રૂમની બહાર પાર્ક કરેલા વાહનો બન્યા રમકડાં
આગ ફાર્મસીમાંથી પ્રસરીને TVS EV શો-રૂમ સુધી પહોંચતા બહાર પાર્ક કરેલા વાહનો પણ તેની લપેટમાં આવી ગયા હતા. પળવારમાં જ 15થી વધુ બાઇક અને મોપેડ સહિતના ટુ-વ્હીલર્સ સળગીને લોખંડના ભંગારમાં ફેરવાઈ ગયા હતા. પાંચથી વધુ ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
Surat Fire Terror: સમયસૂચકતાથી ટળી મોટી જાનહાનિ
આગની આ ઘટના ચાલુ બજારે અને હોસ્પિટલ જેવા અત્યંત ભીડભાડ વાળા વિસ્તારની નજીક બની હોવા છતાં, સમયસૂચકતા અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જો કે, શો-રૂમ, ફાર્મસી અને રેસ્ટોરન્ટમાં લાગેલી આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. હાલમાં આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે તપાસની તજવીજ શરૂ કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મધ્ય ગુજરાત જળબંબોળ, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ




