RAM TEMPLE : રાજા દશરથ અને રાણી કૌશલ્યાની એક દીકરી પણ હતી, બહુ ઓછા લોકો જાણતા હશે આ વાત
Ram Temple : મહાકાવ્ય રામાયણમાં મર્યાદા પુરૂષોત્તમ રામના ગુણો, તેમના પિતાના વચનને પરિપૂર્ણ કરવા માટે તેમના વનવાસ સહિતની વિવિધ ઘટનાઓનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ભગવાન રામના પરિવારના તમામ સભ્યો, વનવાસ દરમિયાન તેઓ જે લોકોને મળ્યા હતા, તેમના જીવનની લંકા જીતવા જેવી તમામ ઘટનાઓનો સચોટ અને વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ ભગવાન રામના જીવન સાથે જોડાયેલ એક એવું પાત્ર છે, જેના વિશે ઓછા લોકો જાણે છે. તેમજ રામાયણમાં પણ આ પાત્રનો કોઈ ઉલ્લેખ નથી. આ પાત્ર પ્રભુ રામની મોટી બહેન શાંતા છે. રાજા દશરથની એકમાત્ર પુત્રી શાંતા વિશે કેટલીક વાર્તાઓ પ્રચલિત છે.
કૌશલ્યાએ પુત્રીને જન્મ આપ્યો
પૌરાણિક કથાઓ અનુસાર રાજા દશરથને ત્રણ રાણીઓ હતી. પ્રથમ રાણી કૌશલ્યા, બીજી રાણી સુમિત્રા અને ત્રીજી રાણી કૈકેયી હતી. ભગવાન રામ રાણી કૌશલ્યાના પુત્ર હતા. પરંતુ પુત્ર રામ પહેલાં માતા કૌશલ્યાએ પુત્રી શાંતાને જન્મ આપ્યો હતો. શાંતા ચાર ભાઈઓ કરતાં મોટી હતી અને કળા અને હસ્તકલામાં નિપુણ હતી. શાંતા પણ ખૂબ સુંદર હતી.

રામાયણમાં શાંતાનો ઉલ્લેખ ન થવા પાછળ એક ખાસ કારણ હતું. રાજા દશરથ અને રાણી કૌશલ્યાની પુત્રી શાંતા લાંબા સમય સુધી તેના પરિવાર સાથે રહી ન હતી. જેથી રામાયણમાં તેમનો કોઈ ઉલ્લેખ નથી. તેની પાછળ એક કારણ છે. કથાઓ અનુસાર, રાણી કૌશલ્યાના મોટી બહેન વર્ષિના નિઃસંતાન હતા. શાંતાના જન્મ પછી તેઓ એકવાર તેમના બહેન કૌશલ્યાને મળવા આવ્યા હતા. તેમણે શાંતા તરફ જોયું અને કહ્યું કે છોકરી ખૂબ જ સુંદર છે, તે તેને દત્તક લેવા ઈચ્છે છે. જે સાંભળીને રાજા દશરથે તેમને પોતાની પુત્રી દત્તક આપવાનું વચન આપ્યું. કૌશલ્યાના બહેન વર્ષિનીના લગ્ન રાજા રોમપદ સાથે થયેલા હતા.
રઘુકુલ હંમેશા એ વાત માટે પ્રખ્યાત છે કે ‘પ્રાણ જાએ પર વચન ન જાએ’, તેથી રાજા દશરથે તેમનું વચન પાળ્યું અને તેમની પુત્રીને દત્તક આપી. તમને જણાવી દઈએ કે, ભગવાન રામને પોતાનું વચન નિભાવવા માટે 14 વર્ષનો વનવાસ વેઠવો પડ્યો હતો. તેમના પિતા દશરથે તેમની પત્ની રાણી કૈકેયીને વચન આપ્યું હતું કે તે તેમને ગમે ત્યારે બે વચન માંગી શકે છે અને તેનો લાભ લઈને કૈકેયીએ રામનો વનવાસ અને તેમના પુત્ર ભરત માટે સિંહાસન માંગ્યું હતું.
એક દિવસ રાજા રોમપદ તેમની પુત્રી શાંતા સાથે વાત કરી રહ્યા હતા. એટલામાં એક બ્રાહ્મણ તેમના દરવાજે આવ્યો. બ્રાહ્મણે રાજા રોમપદને પ્રાર્થના કરી અને કહ્યું કે કૃપા કરીને વરસાદના દિવસોમાં ખેતરો ખેડવામાં શાહી દરબારમાંથી થોડી મદદ કરો. પણ રાજા શાંતા સાથે વાત કરવામાં આટલા વ્યસ્ત હતા કે તેમણે બ્રાહ્મણની વાત સાંભળી નહિ. આવી સ્થિતિમાં દરવાજે આવેલા જરૂરિયાતમંદ બ્રાહ્મણને ખૂબ જ દુઃખ થયું. તે બ્રાહ્મણે નારાજ થઈને રાજા રોમપદનું રાજ્ય છોડી દીધું. તે બ્રાહ્મણ ઈન્દ્રદેવનો ભક્ત હતો. પોતાના ભક્તનું દુ:ખ જોઈને ભગવાન ઈન્દ્ર રાજા રોમપદ પર ગુસ્સે થયા અને તેમના રાજ્યમાં પૂરતો વરસાદ ન કરાવ્યો. જેના કારણે ખેતરોમાં ઉભો પાક સુકાઈ ગયો.
શ્રૃંગી ઋષિ સાથે લગ્ન કર્યા
આ સંકટની સમસ્યાને ઉકેલવા માટે, રાજા રોમપદ શ્રૃંગી ઋષિ પાસે ગયા અને તેમને ઉકેલ માટે પૂછ્યું. ત્યારે ઋષિએ કહ્યું કે ભગવાન ઈન્દ્રને પ્રસન્ન કરવા માટે તેઓએ યજ્ઞ કરવો જોઈએ. આ પછી, રાજા રોમપદે શ્રૃંગી ઋષિ પાસેથી યજ્ઞ કરાવ્યો જે બાદ રાજ્યના ખેતરો અને કોઠાર પાણીથી ભરાઈ ગયા. રાજા રોમપદે તેમની પુત્રી શાંતાના લગ્ન શ્રૃંગી ઋષિ સાથે કરાવ્યા અને ત્યારબાદ બંનેએ સુખી દામ્પત્ય જીવન જીવવાનું શરૂ કર્યું.

પૌરાણિક કથાઓ અનુસાર, શ્રૃંગી ઋષિએ જ રાજા દશરથને તેમના વંશને ચાલુ રાખવા માટે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાનો આદેશ આપ્યો હતો. આ યજ્ઞ પછી રામ, ભરત અને જોડિયા લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. કહેવાય છે કે તે અયોધ્યાથી લગભગ 39 કિલોમીટર દૂર છે. પૂર્વમાં હજુ પણ શ્રૃંગી ઋષિ આશ્રમ છે અને અહીં તેમની અને દેવી શાંતાની સમાધિ છે.
RAM TEMPLE : અહીં થાય છે બહેન શાંતાની પૂજા

ભગવાન રામની મોટી બહેન શાંતાની પૂજા હિમાચલના કુલ્લુમાં શ્રૃંગા ઋષિના મંદિરમાં થાય છે. આ મંદિર કુલ્લુથી 50 કિલોમીટર દૂર આવેલું છે. અહીં દેવી શાંતાની પ્રતિમા પણ સ્થાપિત છે, આ મંદિરમાં દેવી શાંતા અને તેમના પતિ શ્રૃંગી ઋષિની એકસાથે પૂજા કરવામાં આવે છે. આ બંનેની પૂજા કરવા માટે ઘણી જગ્યાએથી ભક્તો આવે છે. શાંતા દેવીના આ મંદિરમાં જે પણ ભક્ત દેવી શાંતા અને શ્રૃંગી ઋષિની સાચા મનથી પૂજા કરે છે તેને ભગવાન રામના આશીર્વાદ મળે છે. તમને જણાવી દઈએ કે દેવી શાંતાના મંદિરમાં દશેરા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો