MP Rajya Sabha Elections: મધ્ય પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પક્ષને બહુ મોટો રાજકીય ફટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નોંધાવવામાં આવેલા સત્તાવાર વાંધા બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન પત્ર (ચૂંટણી ફોર્મ) રદ કરી દીધું છે. આ મોટા ઘટનાક્રમ બાદ હવે રાજ્યની ત્રણેય રાજ્યસભા બેઠકો પર ભાજપની દાવેદારી એકતરફી મજબૂત થઈ ગઈ છે, અને તેના ત્રણેય ઉમેદવારો બિનહરીફ (Uncontested) ચૂંટાઈ આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે.
MP Rajya Sabha Elections: કેમ રદ થયું મીનાક્ષી નટરાજનનું ફોર્મ?

મળતી માહિતી મુજબ, મીનાક્ષી નટરાજન દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભાજપે તેમની સામે ગંભીર કાયદાકીય વાંધાઓ ઉઠાવ્યા હતા. ભાજપના નેતાઓનો આરોપ હતો કે, નટરાજને તેલંગાણામાં પોતાની વિરુદ્ધ નોંધાયેલા એક ગુનાહિત કેસની માહિતી સોગંદનામામાં (Affidavit) જાણી જોઈને છુપાવી હતી.
આ ઉપરાંત, સોગંદનામામાં તેમની મિલકતો અને બેંક બેલેન્સની વિગતો પણ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી નહોતી. ચૂંટણી પંચના કડક નિયમો અનુસાર, દરેક ઉમેદવારે પોતાના ગુનાહિત કેસ, મિલકત, આવક અને લોનની તમામ વિગતો સંપૂર્ણ પારદર્શિતા સાથે જાહેર કરવી ફરજિયાત હોય છે, જેમાં ખામી જણાતા રિટર્નિંગ ઓફિસરે તેમનું ફોર્મ ફગાવી દીધું છે.
MP Rajya Sabha Elections: ભાજપનો પ્રહાર: “સત્યની જીત થઈ, કોંગ્રેસના જ લોકોએ માહિતી આપી”
કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થતા જ ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપના વરિષ્ઠ નેતા રાકેશ સિંહે જણાવ્યું કે, “તેમણે જાણી જોઈને હકીકતો છુપાવી હતી. ફોર્મ અધૂરું હતું અને ખોટી માહિતી આપવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કાયદાકીય ખામીઓના કારણે આ નિર્ણય લેવાયો છે. આ સત્ય અને ઈમાનદારીની જીત છે.”
બીજી તરફ, રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કોંગ્રેસ પર આકરો કટાક્ષ કરતા કહ્યું કે, “આ ન્યાયની જીત છે. અમારા ઉમેદવાર મહેશ કેવટ લોકશાહી ઢબે જીતવાના જ હતા. પરંતુ કોંગ્રેસની આંતરિક સ્થિતિ જુઓ, તેલંગાણામાં કોંગ્રેસની સરકાર હોવા છતાં નટરાજનના કેસના દસ્તાવેજો અમને કોણે આપ્યા? નક્કી કોંગ્રેસના જ અસંતુષ્ટ લોકોએ આ માહિતી લીક કરી હશે. આજે કોંગ્રેસની સ્થિતિ દયનીય બની ગઈ છે.”
MP Rajya Sabha Elections: કોંગ્રેસનો પલટવાર: “હારના ડરથી સત્તાનો દુરુપયોગ”
સામે પક્ષે, નામાંકન રદ થવા અંગે નારાજગી વ્યક્ત કરતા મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા મયંક રામ નારાયણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસ નેતાનું નિવેદન: “ભાજપનું ‘નારી શક્તિ વંદન’ હવે દેશની સામે આવી ગયું છે. સંખ્યાબળના જોરે નહીં પરંતુ સત્તાના બળ પર રાજનીતિ કરનારી ભાજપ હવે રાજ્યસભા ચૂંટણીમાં પણ લોકશાહીને પ્રભાવિત કરવા પર ઉતરી આવી છે. જ્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો એકજૂથ દેખાયા, ત્યારે મીનાક્ષી નટરાજનજીના નામાંકન પર ખોટા વાંધા ઉઠાવીને ભાજપ પોતાની હારનો ડર છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.”
આ પણ વાંચો :પોરબંદરમાં વસ્તીગણતરીની ફરજમાં હાજર ન રહેતા શાળાના આચાર્યની અટકાયત: કલેક્ટરની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો




