Missing Surat Businessman :સુરતના હીરા ઉદ્યોગ અને રત્નકલાકારો માટે એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાં વર્ષોથી વ્યાપાર કરી રહેલા સુરતના ૭૫ વર્ષીય જાણીતા હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણીનું રહસ્યમય સંજોગોમાં અપહરણ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. તેમની સાથે તેમના બે અન્ય સહયોગીઓ પણ લાપતા છે.
Missing Surat Businessman :શું છે સમગ્ર ઘટના?
ધીરૂ રામાણી મૂળ સુરતના છે અને વર્ષોથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. છેલ્લા બે વર્ષથી તેઓ માલીમાં સોનાની ખાણકામના પ્રોજેક્ટમાં સક્રિય હતા. મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી તેઓ અને તેમની સાથેના અન્ય બે ભારતીય નાગરિકો (એક રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન) ગુમ છે.
પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, અલકાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક કટ્ટરપંથી આતંકી જૂથે આ અપહરણ પાછળ હાથ હોવાની પ્રબળ આશંકા છે. આ ટોળકીએ ત્રણેયને મુક્ત કરવાના બદલામાં ૧૦૦ કરોડ રૂપિયાની જંગી ખંડણીની માંગણી કરી છે.
Missing Surat Businessman :વીડિયો કોલ દ્વારા અપહરણકર્તાઓની ચાલ
અપહરણકર્તાઓ ખૂબ જ શાતિર સાબિત થયા છે. જ્યારે પરિવારે ધીરૂ રામાણી સુરક્ષિત હોવાનો પુરાવો માંગ્યો, ત્યારે આતંકીઓએ વીડિયો કોલ દ્વારા પરિવારને તેમની સાથે વાત કરાવી હતી. આ કોલમાં ત્રણેય ભારતીયો જીવતા અને સુરક્ષિત જોવા મળ્યા હતા. આ પુરાવો મળ્યા બાદ અમેરિકા સ્થિત તેમનો પરિવાર આંતરિક સ્તરે વાટાઘાટો કરી રહ્યો છે.
Missing Surat Businessman :સરકારી મદદથી દૂર, પરિવાર જાતે કરી રહ્યો છે વાટાઘાટો
આ ગંભીર મામલામાં પરિવાર અત્યંત સાવચેતી વર્તી રહ્યો છે. પરિવારના એક નજીકના સભ્યએ જણાવ્યું કે, તેઓએ હજુ સુધી કોઈ સરકારી તંત્ર કે વિદેશ મંત્રાલયને આ મામલામાં સામેલ કર્યા નથી. તેમને ડર છે કે સત્તાવાર હસ્તક્ષેપથી ધીરૂભાઈના જીવને વધુ જોખમ ઊભું થઈ શકે છે, તેથી તેઓ ગુપ્ત રીતે અને પોતાની રીતે જ અપહરણકર્તાઓ સાથે નેગોશિયેશન કરી રહ્યા છે.
સુરતના ઉદ્યોગપતિઓમાં ફફડાટ
આ ઘટનાને પગલે સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જે વેપારીઓએ દક્ષિણ આફ્રિકા કે અન્ય સંવેદનશીલ દેશોમાં પોતાના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે, તેઓમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે, ભારતના વિદેશ મંત્રાલયે અગાઉ પણ માલી જેવા હાઈ-રિસ્ક દેશોમાં કામ કરતા ભારતીયો માટે સુરક્ષા એડવાઈઝરી જારી કરી હતી.
હાલ સમગ્ર સુરત અને હીરા ઉદ્યોગ જગતની નજર ધીરૂ રામાણી અને તેમના સાથીઓની સુરક્ષિત વાપસી પર ટકેલી છે.
આ પણ વાંચો :૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા: ભગવાન જગન્નાથજી નગરચર્યાએ, લાખો ભક્તોની ઉપસ્થિતિમાં જયઘોષ




