પીએમ મોદીને ઘેરવા હવે મમતા બેનર્જી મેદાને- જાણો શુ કરી છે જાહેરાત

0
93
મમતા
મમતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, જો મોદી સરકાર ફરી સત્તામાં આવશે લોકતંત્રનો અંત આવશે. બીજી તરફ મમતાએ વિપક્ષના સંયુક્ત ગઠબંધનમાં સામેલ થવા અંગે કહ્યું કે, મને કોઈ પદ નથી જોઈતું. હું માત્ર એટલું ઈચ્છું છું કે, ભાજપના શાસનનો અંત આવે. મમતા બેનર્જી બંગાળમાં ટીએમસીના વાર્ષિક શહીદ કાર્યક્રમના અવસર પર બોલી રહ્યા હતા.

આ દરમિયાન મમતા બેનર્જીએ મણિપુરની ઘટના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. મમતાએ કહ્યું કે, ભાજપે બંગાળમાં અનેક ટીમો મોકલી પરંતુ મણિપુર માટે કોઈ પણ કેન્દ્રીય ટીમ મોકલવામાં ન આવી. હું પીએમ મોદીને પૂછવા માંગુ છું કે, મણિપુરની ઘટનાથી તમને થોડુ પણ દુ:ખ થયું કે ન થયું? તમે પશ્ચિમ બંગાળ પર આંગળી ચીંઢો છે પરંતુ શું તમને માતા-બહેનો પ્રત્યે પ્રેમ નથી. અંતે ક્યાં સુધી છોકરીઓને સળગાવવામાં આવતી રહેશે? ક્યાં સુધી ગરીબો અને લઘુમતીઓની હત્યા થતી રહેશે. 

બેટી બચાઓના સૂત્રને લઇને પણ કરાયા પ્રહાર

ભાજપ પર આકરા પ્રહાર કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તમે બેટી બચાવોનું સૂત્ર આપ્યુ હતું. આજે તમારું એ સૂત્ર ક્યાં છે? અમારી સંપૂર્ણ સહાનુભૂતિ મણિપુરના લોકો સાથે છે. મમતાએ વધુમાં કહ્યું કે આજે મણિપુર સળગી રહ્યું છે. આખો દેશ સળગી રહ્યો છે. બિલ્કીસ બાનો કેસમાં આરોપીઓ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા. મહિલા કુસ્તીબાજોના કેસમાં બ્રિજભૂષણ સિંહને પણ જામીન મળી ગયા છે. તેમણે કહ્યું કે આવનારી ચૂંટણીમાં દેશની મહિલાઓ તમને દેશના રાજકારણમાંથી જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે.

અભિષેક બેનર્જીએ ભાજપને ઘેરવા કર્યો આહ્વાવાન

આ દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ 5 ઓગસ્ટે ભાજપના નેતાઓના ઘરનો ઘેરાવ કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, આ દિવસે અમે શાંતિપૂર્ણ રીતે ભાજપના તમામ નેતાઓના ઘરનો ઘેરાવો કરીશું. આ ઉપરાંત અભિષેકે 2 ઓક્ટોબરે દિલ્હી જવાનું પણ એલાન કર્યું છે. તેમણે કહ્યું કે અમારા નેતા મમતા બેનર્જીના આદેશ પર હું વધુ એક એલાન કરું છું. ભાજપ બંગાળનું ફંડ રોકી રહ્યું છે. તેના વિરોધમાં અમે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે દિલ્હી જઈશું.