Mahesana : યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક નિર્દોષ પરિવારને આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરોના કાવતરાનું શિકાર બનવું પડ્યું છે. દુબઈથી પોર્ટુગલ પહોંચાડવાની વાત કરી એજન્ટોએ પરિવારને છેતરીને સીધા લીબિયા મોકલી દીધા, જ્યાં હાલ તેઓ અપહરણકર્તાઓની કબજામાં છે. આ પરિવારની મુક્તિ માટે અપહરણકારો અને એજન્ટો તરફથી કુલ લગભગ 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી રહી છે.
Mahesana : દુબઈથી પોર્ટુગલ નહીં, સીધા લીબિયા

બાદલપુરાના રહેવાસી કિસ્મતસિંહ ચાવડા, તેમની પત્ની હીનાબેન અને 3 વર્ષની દીકરી યુરોપમાં ભવિષ્ય બનાવવાના ઈરાદે દુબઈ ગયા હતા. એજન્ટોએ તેમને ખાતરી આપી હતી કે ત્યાંથી તેઓને પોર્ટુગલ પહોંચાડવામાં આવશે. પરંતુ નેટવર્કના વચેટિયાઓએ પરિવારને છેતરીને પોર્ટુગલને બદલે લીબિયા પહોંચાડી દીધા.
લીબિયામાં પહોંચતા જ પરિવારને એકાંત જગ્યાએ બંધક બનાવી દેવામાં આવ્યો અને તેમના ઉપર શારીરિક તથા માનસિક અત્યાચાર શરૂ થયો. અપહરણકારો જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની મુક્તિ માટે શરૂઆતમાં $54,000 (લગભગ ₹45 લાખ)ની ખંડણી માંગતા હતા. ત્યારબાદ દુબઈના એજન્ટોએ વધારાની ₹1 કરોડ માંગીને સમગ્ર રકમને લગભગ ₹2 કરોડ સુધી લઇ ગયા છે.

Mahesana : માનવ તસ્કરોનો ધંધો કેવી રીતે ચાલે છે?
આ ઘટનામાં ખુલેલો મોડસ ઓપરેન્ડી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટના વાસ્તવિકતાઓને દર્શાવે છે.
- સ્થાનિક એજન્ટ દ્વારા પેસેન્જરનું રિક્રૂટમેન્ટ અને પૈસાની વસૂલી.
- વિદેશી વચેટિયાઓને પેસેન્જર સોંપી દેવામાં આવે છે.
- દુબઈ–ઈરાન–લીબિયા જેવા રૂટમાં પેસેન્જરને બીજા નેટવર્કને ‘વેચી’ દેવામાં આવે છે.
- લીબિયા/ઈરાનમાં હોટલ જેવી જગ્યાઓ પર બંદી બનાવી રાખવામાં આવે છે.
- પાકિસ્તાની એજન્ટો અથવા સ્થાનિક મિલિશિયાઓ દ્વારા મારપીટ કરીને વીડિયો બનાવવામાં આવે છે.
- પરિવારને વીડિયો મોકલી ખંડણીની માંગણી કરવામાં આવે છે.
- રકમ ન મળે તો પેસેન્જરને તસ્કરો વચ્ચે ફરીથી વેચી દેવામાં આવે છે અથવા જીવન જોખમમાં મૂકી દેવામાં આવે છે.
આ જ ક્રૂર માળખાનો શિકાર હાલમાં બાદલપુરાના ચાવડા પરિવાર બન્યા છે.
Mahesana : સરકારી તંત્રને પરિવારનો આર્તનાદ

કિસ્મતસિંહ ચાવડાના પરિવારજનો મહેસાણા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સમગ્ર ઘટનાની લેખિત અરજી આપી. પરિવારે ગુજરાત સરકાર, મહેસાણા જિલ્લા તંત્ર અને કેન્દ્રની વિદેશ મંત્રાલય પાસે તાત્કાલિક દખલ કરવાની માંગ કરી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેસ પ્રાથમિકતા પરથી આગળ ધપાવવામાં આવ્યો છે અને વિદેશ મંત્રાલય સાથે સંપર્ક સાધીને ચાવડા પરિવારને સલામત રીતે ભારતમાં પરત લાવવા પ્રયત્નો શરૂ કરવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
વધારે સમાચાર વાંચવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો




