Girnar Goes High-Tech: ગિરનાર પર્વતમાળામાં તાજેતરમાં બનેલી સિંહના હુમલાની દુઃખદ ઘટના બાદ વન વિભાગ હવે સુરક્ષાને લઈને એક્શન મોડમાં આવી ગયું છે. વન્યજીવોના સંરક્ષણ અને માનવ જિંદગીની સુરક્ષાને પ્રાથમિકતા આપીને જૂનાગઢ વન વિભાગે હવે ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને જંગલ વિસ્તારમાં એક ‘અભેદ્ય સુરક્ષા કવચ’ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.

Girnar Goes High-Tech: હાઈ-ટેક સુરક્ષા માટે વન વિભાગનો માસ્ટર પ્લાન
જૂનાગઢ વન વિભાગના CCF રામ રતન નાલાયે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓ ન ઘટે તે માટે વન વિભાગે અત્યાધુનિક ઓપરેશનલ સિસ્ટમ અમલમાં મૂકી છે. આ માસ્ટર પ્લાનના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:
- થર્મલ ડ્રોન્સ (Thermal Drones): રાત્રિના અંધકારમાં પણ પ્રાણીઓની ગતિવિધિ ટ્રેક કરવા માટે ખાસ થર્મલ ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી મળતા લાઈવ સિગ્નલ્સ સીધા જ ફોરેસ્ટ સ્ટાફને મળશે, જેથી જંગલી પ્રાણીઓને સમયસર માનવ વસવાટથી દૂર ખસેડી શકાશે.
- AI આધારિત મોનિટરિંગ: સ્માર્ટ સીસીટીવી કેમેરામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ કેમેરા પ્રાણીઓને ઓળખીને આપોઆપ વન વિભાગના સ્ટાફ અને નજીકના ગ્રામજનોને એલર્ટ મોકલી આપશે, જેથી લોકો પોતાની સુરક્ષા માટે સાવચેત થઈ શકે.
- નવી ચેકપોસ્ટ: જંગલના સંવેદનશીલ વિસ્તારોમાં નવી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. અહીં મુસાફરો પ્રાણીઓની ગતિવિધિ વિશે તાત્કાલિક જાણ કરી શકશે, ત્યારબાદ સ્ટાફ તરત જ ટ્રેકર્સને એલર્ટ કરશે.

Girnar Goes High-Tech: વાહનચાલકો અને પ્રવાસીઓ માટે ખાસ અપીલ
બિલખા રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર વધુ રહેતી હોવાથી વન વિભાગે સ્પીડ બ્રેકર્સ બનાવ્યા છે. અધિકારીઓએ પ્રવાસીઓને અપીલ કરી છે કે, “જ્યારે પણ વન્યજીવો રસ્તો ઓળંગતા હોય, ત્યારે વાહન થોભાવી દો. પ્રાણીઓને છંછેડવાને બદલે તેમને શાંતિથી રસ્તો ઓળંગવા દો.”

Girnar Goes High-Tech: રેસ્ક્યૂ માટે કડક પ્રોટોકોલ
માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટના બાદ વન વિભાગ હવે ખાસ પ્રોટોકોલનું પાલન કરશે. કોઈ પણ પ્રાણી કે ગ્રૂપને રેસ્ક્યૂ કર્યા બાદ તેમને ચોક્કસ સમય સુધી ઓબ્ઝર્વેશનમાં રાખી, તબીબી તપાસ કર્યા પછી જ તેમને જંગલમાં મુક્ત કરવા કે અન્યત્ર ખસેડવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ આધુનિક વ્યવસ્થાથી ગિરનાર વિસ્તારમાં સહેલાણીઓ અને સ્થાનિક લોકો માટે સુરક્ષિત વાતાવરણ ઉભું થશે અને વન્યજીવોના સંરક્ષણ માટે વધુ મજબૂત વ્યવસ્થા ગોઠવાશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાનું ઓરણા PHC પર ઓચિંતું નિરીક્ષણ, કામગીરી અને સ્વચ્છતાથી પ્રભાવિત




