વધુ એક આંદોલનના ડરથી સરકાર ગભરાઈ, ઉમેદવારોને ગાંધીનગર પહોંચવા ન દેવાનો છૂટ્યો આદેશ

0
83
જ્ઞાન સહાયક વિરોધ
જ્ઞાન સહાયક વિરોધ

ગુજરાત માં વધુ એક ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. ગુજરાત સરકારે જ્ઞાન સહાયકની 11 મહિનાના કરાર અધારિત ભરતી નો ઠરાવ પાસ કર્યો હતો. જેનો રાજ્યભરમાંથી વિરોધ ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેઓની માંગ છે કે જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ત્યારે ઉમેદવારો વચ્ચે ઉઠેલી આ આગ ગાંધીનગર સુધી પહોંચે તેવી સરકારને ભીતિ છે. હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ઉમેદવારો વિરોધ વ્યક્ત કરવા ગાંધીનગર ન પહોંચે તેવા આદેશો ગાંધીનગરથી છૂટ્યા છે. 

જ્ઞાન સહાયક ના વિરોધ આંદોલનને લઈ પોલીસ સતર્ક બની છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો વિધાનસભા ઘેરાવો કરે શકે છે તેવો ડર સરકારને લાગી રહ્યો છે. તેથી ગુજરાત પોલીસને આવા ઉમેદવારોને પોતાના જિલ્લામા જ રોકી રાખવા માટે આદેશ કરાયો છે. પોલીસના સ્ટેટ કંટ્રોલ રુમ તરફથી તમામ જિલ્લાઓને સુચના આપી દેવાઈ છે. 

શું સૂચના અપાઈ 
પરિપત્રમાં જણાવાયું કે, કરાર આધારિત વિદ્યા સહાયકોની ભરતીના ઠરાવના વિરોધમાં તથા ધોરણ 1 થી 12માં કાયમી શિક્ષકોની નિમણૂંક કરવાની માંગ સાથે આવતીકાલે 13 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનો ઘેરાવ કરવાના હોવાની માહિતી મળેલ છે. હાલ વિધાનસભાનું ત્રીજું સત્ર તારીખ 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી યોજાનાર છે. તેમજ માનનીય રાષ્ટ્રપતિ પણ ગુજરાત વિધાનસભાના કાર્યક્રમમાં પધારનાર છે. તો ઉક્ત ઉમેદવારો આંદોલન સારું આવવા માટે કોઈ પગલું ન ભરે તે સારું તેઓને પોતાના શહેર-જિલ્લા ખાતે રોકી યોગ્ય કાર્યવાહી કરવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું તકેદારીના તમામ પગલે લેવા વિનંતી છે. 

ધારાસભ્યએ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર
આ અંગે કેટલાક ઉમેદવાર રજૂઆત કરવા શિક્ષણ મંત્રીની ઓફિસમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સ્કૂલ ઓફ એક્સેલન્સ મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાન સહાયક યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં 11 માસના કરાર આધારે શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે. પરંતું ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે આ વિશે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે.

ફોર્મ ભરવાની તારીખ વધારાઈ
જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીમાં પ્રાથમિક વિભાગની ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી, પરંતુ હવે 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. કરાર આધારિત ભરતીમાં ઓછા ફોર્મ ભરાતા તારીખ લંબાવાઈ છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયકની ભરતીનો વિરોધ કરી રહ્યા છે. આંદોલનકારી ઉમેદવારોએ ફોર્મ ન ભરવાની અપીલ કરી છે.