સમૃદ્ધિની હરણફાળ ભરતાં ગુજરાતમાં ગરીબીનો વિકાસ !

1
98
સમૃદ્ધિની હરણફાળ ભરતાં ગુજરાતમાં ગરીબીનો વિકાસ !
સમૃદ્ધિની હરણફાળ ભરતાં ગુજરાતમાં ગરીબીનો વિકાસ !

એક તરફ સમૃદ્ધ-પ્રગતિશિલ ગુજરાતના ગાણાં ગવાઈ રહ્યા છે બીજી તરફ, ખુદ કેન્દ્ર સરકારે જ સ્વિકાર્યુ છેકે,  ગુજરાતમાં સાડા છ કરોર્ડોની વસ્તી પૈકી એક કરોડ લોકો તો ગરીબ અવસ્થામાં જીવન વ્યતિત કરી રહ્યા છે. ગરીબ કલ્યાણ મેળા થકી કરોડોનું આંધણ કરાયું પણ ગરીબોનું કલ્યાણ ન થયું,  ગરીબીમાં ગુજરાત દેશમાં ૧૪મા ક્રમે રહ્યું છે.ગામડામાં રોજ શહેરમાં રોજ ૩૨ રૂપિયા પણ ખર્ચી શકે કે નહી તેને ગરીબી રેખા હેઠળની વ્યક્તિ ગણવામાં આવે છે. આ સામાન્ય ખર્ચ  કરવા ય સક્ષમ નથી તેવી વ્યક્તિઓની ગુજરાતમાં ઘણી મોટી સંખ્યા છે. લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે એ વાત કબૂલી કે, ગુજરાતમાં કુલ મળીને ૧.૦૨ કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. ટૂંકમાં. ગુજરાતમાં ૧૬.૬૩ ટકા લોકો  ગરીબ છે.

ગુજરાતમાં બેરોજગારી ફેણ માંડી રહી છે ત્યારે ગામડાના લોકો શહેરો તરફ દોડી રહ્યા છે. ઔદ્યોગિક વિકાસને જોતાં શહેરોમાં લોકોને રોજગારી મળી રહે છે પણ ગામડાઓની દશા દયનીય છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ૨૬.૮૮ લોકો ગરીબી અવસ્થામાં છે જયારે ગામડાઓમાં તો શહેરોની સરખામણીમાં ચાર ગણી વધુ ગરીબી છે. ગામડાઓમાં ગરીબોની સંખ્યા ૭૫.૩૫  લાખ સુધી પહોંચી છે. એટલે કે, ૨૧.૫૪ ટકા ગ્રામ્ય વસ્તી ગરીબ છે. નીતિ આયોગના બહુઆયામી સૂચકાંક- ૨૦૨૩ના મતે, ગરીબીમાં ગુજરાત દેશમાં ૧૪માં ક્રમે છે. આ ઉપરાંત દાહોદ સૌથી ગરીબ જીલ્લો છે જયાં ૩૮.૨૭ ટકા લોકો ગરીબી અવસ્થામાં જીવન ગાળી રહ્યા છે. આ ઉપરાંત ડાંગ, છોટાઉદેપુર, નર્મદા અને બનાસકાંઠા પણ ગરીબ જિલ્લા છે.

હવે ગરીબીમાં રહેવુ નથી તેવા સૂત્ર સાથે દર વર્ષે ગુજરાત સરકાર ગરીબ કલ્યાણ મેળા યોજીને વાહવાહી મેળવે છે. પરંતુ હકીકત કૈક જુદી છે. હરણફાળ ભરતાં ગુજરાતમાં જાણે ગરીબીએ ડેરાતંબુ તાણ્યા છે. રાજ્યમાં શહેરો કરતાં ગામડાઓમાં ચાર ગણાં ગરીબો છે. મહત્વની વાત એછેકે, ગરીબોના કલ્યાણ-ઉત્કર્ષની અનેક યોજના અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીનુ બિહામણુ ચિત્ર યથાવત રહ્યુ છે.

એટલુ જ નહી, કરોડોનું આંધણ કરે છે આમ છતાંય ગરીબોનું ક્લ્યાણ થઇ શક્યુ નથી. ગરીબાના ઉત્કર્ષની યોજના ખરેખર લાભદાયી નિવડી હોત તો ગુજરાતમાં ગરીબોની સંખ્યામાં જરૂર ઘટાડો થયો હોત. પણ એવુ થયુ નથી. આજે પણ ગુજરાતમાં ૧ કરોડ વસ્તી મફત અનાજ મેળવીને પેટનો ખાડો પૂરો કરે છે. મજૂરી કરીને જીવનનિર્વાહ પુરુ કરે છે.આવી કરૂણ પરિસ્થિતી હોવા છતાય વિકાસના બણગા ફુંકવામાં આવી રહ્યા છે. સમૃદ્ધ-વાઈબ્રન્ટ ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે. જોકે, કડવી વાસ્તવિકતા એછેકે, એક કરોડ લોકોને બે ટંક ખાવાના ય ફાંફા છે. કહેવાતા વિકાસ પાછળ ભાગતી રાજ્ય રકાર ગરીબી દૂર કરવામાં સફળ રહી નથી.

1 COMMENT

Comments are closed.