Bhavnagar news:ભાવનગર-સોમનાથ નેશનલ કોસ્ટલ હાઈવે વન્ય પ્રાણીઓ માટે જાણે ‘ડેથ ટ્રેપ’ બની રહ્યો છે. ગત 31 જાન્યુઆરીના રોજ નાગેશ્રી ટોલનાકા પાસે પાંચ વર્ષીય સિંહણને કારથી અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થયેલા કારચાલકને વન વિભાગે ઝડપી લીધો છે. આરોપી ગાંધીનગર સ્થિત પોલીસ આવાસ નિગમમાં કરાર આધારિત સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હોવાનું ખુલ્યું છે.
Bhavnagar news:શું હતી સમગ્ર ઘટના?
31 જાન્યુઆરીની સાંજે જાફરાબાદ રેન્જ હેઠળ નાગેશ્રી ટોલનાકાથી આશરે 500 મીટર દૂર એક સિંહણ રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન ગાંધીનગરથી કોડીનાર તરફ જઈ રહેલી પુરપાટ ઝડપની કાર (નં. GJ-18-EE-4544) એ સિંહણને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભીષણ હતો કે, સિંહણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક સિંહણને લોહીલુહાણ હાલતમાં મૂકી નાગેશ્રી ટોલનાકાથી ઉના તરફ ફરાર થઈ ગયો હતો.

Bhavnagar news:CCTVના આધારે આરોપીની ધરપકડ

ઘટનાની જાણ થતા જ શેત્રુંજી ડિવિઝનના ACF વિરલસિંહ ચાવડા અને તેમની ટીમ માત્ર 10 મિનિટમાં સ્થળ પર પહોંચી હતી. વન વિભાગે તાત્કાલિક ટોલનાકાના CCTV ફૂટેજ તપાસતા શંકાસ્પદ કારની ઓળખ કરી હતી.
વન વિભાગે નાકાબંધી ગોઠવી વીરેન્દ્ર રાયસિંગભાઈ રાઠોડ (ઉંમર 30, રહે. પોણાદર, કોડીનાર) ને ટીંબી નજીકથી ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ કર્યો હતો.
વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ કાર્યવાહી
વન વિભાગે આરોપી સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપીને ગઈકાલે જાફરાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને અમરેલી જેલના હવાલે મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો :અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય આરંભ, પહેલા દિવસે 1 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા




