Ahmedabad news :અમદાવાદ: આગામી ફેબ્રુઆરી-2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વર્તમાન ટર્મ પૂર્ણ થવાની છે. તે પહેલાં નાગરિકોને રાહત આપવા અને બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાતમાં તેજી લાવવા AMCની રેવન્યુ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2026 સુધી પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં વિશાળ માફી આપવામાં આવશે.
રેવન્યુ કમિટીએ મંજૂર કરેલા ઠરાવ અનુસાર, નવી મિલકતો માટે જાન્યુઆરી મહિનામાં રહેણાંક મિલકતોને 85 ટકા અને કોમર્શિયલ મિલકતોને 65 ટકા સુધી વ્યાજ માફી મળશે. આ વ્યાજ માફી યોજના હેઠળ AMCને અંદાજે રૂ. 500 કરોડની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Ahmedabad news:22 લાખથી વધુ મિલકતધારકોને મળશે લાભ
અમદાવાદ શહેરમાં 15 લાખથી વધુ રહેણાંક અને 7 લાખથી વધુ કોમર્શિયલ મિલકતો છે. કુલ મળીને 22 લાખથી વધુ મિલકતધારકોને જૂની અને નવી ફોર્મ્યુલા મુજબ અલગ-અલગ સ્લેબમાં વ્યાજ માફી આપવાનો નિર્ણય લેવાયો છે.
રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું કે, વ્યાજ માફી સ્કીમ હેઠળ ચાલી અને ઝૂંપડાવાળી મિલકતો માટે 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. જ્યારે જૂની ફોર્મ્યુલા હેઠળ 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2026 સુધી રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની મિલકતો માટે સંપૂર્ણ 100 ટકા વ્યાજ માફી લાગુ રહેશે.

તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે આ વ્યાજ માફી સ્કીમ વર્ષ 2025-26ના બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ પર લાગુ પડશે નહીં.
Ahmedabad news :નવી ફોર્મ્યુલા મુજબ વ્યાજ માફી સ્લેબ
| મહિનો | રહેણાંક (%) | કોમર્શિયલ (%) |
| જાન્યુઆરી | 85 | 65 |
| ફેબ્રુઆરી | 80 | 60 |
| માર્ચ | 75 | 50 |
AMCના આ નિર્ણયથી બાકી પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે કરદાતાઓને મોટું પ્રોત્સાહન મળશે, સાથે જ કોર્પોરેશનની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.




