Treasure Hunt in Palanpur: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક અનોખી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. શહેરના માનસરોવર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા ઘર કે દુકાનના જૂના કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સિક્કા શોધવા માટે લોકોએ કાટમાળમાં ખોદાખોદ શરૂ કરી દેતા આ સ્થળ ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યું છે.

Treasure Hunt in Palanpur: ક્યાં અને કઈ રીતે શરુ થઈ ઘટના?
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, ગત રાત્રે (૩૦ જુલાઈ) મહાજન હોસ્પિટલની બાજુમાં ચાહતભાઈ મંડોરાની ખુલ્લી જગ્યામાં કોઈ જૂના મકાન કે મંદિરનો કાટમાળ ખાલી કરવામાં આવ્યો હતો. આ કાટમાળમાંથી કેટલાક લોકોને ચાંદીના સિક્કા મળ્યા હોવાની વાત ફેલાતા જ ગુરુવારે સવારથી જ લોકોની ભારે ભીડ એકઠી થવા લાગી હતી. સવારના ૭:૩૦ થી ૮:૦0 વાગ્યાના અરસામાં લોકો કાટમાળમાં સિક્કા શોધવા માટે બેસી ગયા હતા.

Treasure Hunt in Palanpur: સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો
- કેદારભાઈ પઢીયાર (સ્થાનિક): “આ કોઈ ચમત્કાર નથી, પરંતુ કોઈ મંદિર કે જૂના મકાનના કાટમાળમાંથી આ પૌરાણિક ચાંદીના સિક્કા મળી આવ્યા છે. અત્યાર સુધીમાં આશરે ૧૦ થી ૧૨ લોકોને આ સિક્કા મળ્યા છે, જેથી લોકોએ અફવાઓથી ભ્રમિત થવું નહીં.”
- શૈલેષ પટેલ (સ્થાનિક): “લોકોમાં એવી ચર્ચા છે કે અહીં સોના-ચાંદીના સિક્કા અને સોનાના બિસ્કિટ પણ નીકળી રહ્યા છે. હું પણ છેલ્લા બે-ત્રણ કલાકથી સિક્કા શોધવા માટે અહીં આવ્યો છું.”
- ચંદ્રકાન્તભાઈ (કોર્પોરેટર, વોર્ડ નં. ૨): “માવજત હોસ્પિટલની બાજુની ખુલ્લી જગ્યામાં બહારથી કાટમાળ નાખવામાં આવ્યો હતો, જેમાંથી કેટલાક લોકોને ચાંદીના સિક્કા મળ્યા છે. મેં પડોશીઓ પાસે સિક્કા જોયા પણ છે. આ કાટમાળ કોઈ પૌરાણિક મંદિર કે જૂના મકાનનો હોઈ શકે છે.”

Treasure Hunt in Palanpur: તંત્ર દ્વારા સત્તાવાર પુષ્ટિ બાકી
ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને કાટમાળમાં ભારે ખોદાખોદ જોવા મળી હતી. જોકે, ખરેખર કેટલા સિક્કા મળ્યા છે અને તેની પૌરાણિક કે બજાર કિંમત કેટલી છે તે અંગે હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કે માહિતી આપવામાં આવી નથી. તપાસ બાદ જ આ સમગ્ર મામલાની વાસ્તવિક હકીકત સામે આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સુરતમાં ભારે વરસાદની આગાહી: કલેક્ટરના આદેશથી જીલ્લાના તમામ કારખાના આજે અને કાલે બંધ રહેશે




