Tragedy Re-visits Wayanad: કેરળનું વાયનાડ ફરી એકવાર કુદરતી આપત્તિનો ભોગ બન્યું છે. મંગળવારે બપોરે પડેલા ભારે વરસાદને કારણે વાયનાડના કલ્લાડી સ્થિત મીનાક્ષી બ્રિજ પાસે ભયાનક ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થયું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨ લોકોના મોતના સમાચાર છે, જ્યારે ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

Tragedy Re-visits Wayanad: તણખલાની જેમ તણાયું ટેન્કર: CCTV ફૂટેજ આવ્યા સામે
આ ભયાનક દુર્ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાણી અને કાદવનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે રસ્તા પર ઊભેલું એક ભારેભરખમ ટેન્કર પણ તણખલાની જેમ વહી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમો યુદ્ધના ધોરણે બચાવ કાર્યમાં લાગી ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કાટમાળ એટલો વધારે છે કે તેને હટાવવા માટે ભારે મશીનરીની તાતી જરૂર છે.

Tragedy Re-visits Wayanad: ટનલ પ્રોજેક્ટની માટી ધસી પડી
આ દુર્ઘટના જ્યાં થઈ ત્યાં હાલમાં ‘મલપ્પુરમ-વાયનાડ ટનલ પ્રોજેક્ટ’નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
- પ્રોજેક્ટની વિગત: આશરે ૮.૧૭ કિલોમીટર લાંબી આ સુરંગ મલપ્પુરમને વાયનાડ સાથે જોડશે, જેનો અંદાજિત ખર્ચ ₹૨,૧૦૦ થી ₹૨,૨૦૦ કરોડ છે.
- અકસ્માતનું કારણ: ટનલના ખોદકામ દરમિયાન નીકળેલી માટી બહાર જ એકઠી કરવામાં આવી હતી. સતત વરસાદને કારણે સોમવારથી જ કામ બંધ હતું, પરંતુ મંગળવારે આ એકઠી થયેલી માટીનો મોટો હિસ્સો ધસી પડ્યો હતો, જેના કારણે આસપાસના વૃક્ષો અને બેરિકેડ્સ પણ તણાઈ ગયા હતા.

Tragedy Re-visits Wayanad: વાયનાડ જ કેમ વારંવાર બને છે ભૂસ્ખલનનો ભોગ?
વાયનાડ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)ના ૨૦૨૧ના અહેવાલ મુજબ:
- પહાડી ઢોળાવ: વાયનાડ કેરળનો એકમાત્ર ઉચ્ચપ્રદેશીય વિસ્તાર છે, જે પશ્ચિમ ઘાટમાં ૭૦૦ થી ૨૧૦૦ મીટરની ઊંચાઈ પર આવેલો છે. તેની ૫૧% જમીન પહાડી ઢોળાવવાળી છે. કેરળનો ૪૩% વિસ્તાર ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રમાં આવે છે.
- ભારે વરસાદ: ચોમાસા દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો પશ્ચિમ ઘાટ સાથે અથડાઈને અહીં અત્યંત ભારે વરસાદ આપે છે.
- નદીઓમાં પૂર: વાયનાડની કાબિની નદીની સહાયક નદી ‘મનંતાવડી’ થોંડારમુડી શિખર પરથી નીકળે છે. ભૂસ્ખલનને કારણે આ નદીમાં આવેલા પૂરથી તબાહી વધુ વકરી છે.

Tragedy Re-visits Wayanad: વાયનાડનો ભૂતકાળ: કુદરતી આફતોનો સિલસિલો
૨૦૨૪ની મહાતબાહી: વાયનાડમાં બે વર્ષ પહેલા ૩૦ જુલાઈ ૨૦૨૪ના રોજ મોડી રાત્રે ૨ થી ૪ વાગ્યાની વચ્ચે મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટામાલા અને નૂલપુઝા ગામોમાં ત્રણ મોટા ભૂસ્ખલન થયા હતા, જેમાં ૪૦૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
૨૦૧૯ની દુર્ઘટના: ૨૦૧૯માં પણ ભારે વરસાદને કારણે આ જ વિસ્તારોમાં લેન્ડસ્લાઇડ થતાં ૧૭ લોકોના મોત થયા હતા અને ૫૨ ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા.
Tragedy Re-visits Wayanad: ભારતનો ૧૨.૬% હિસ્સો ‘ડેન્જર ઝોન’માં
ભારતનો આશરે ૧૨.૬% ભૂભાગ (લગભગ ૪.૨ લાખ ચોરસ કિલોમીટર) ભૂસ્ખલન સંભવિત ક્ષેત્ર છે. જેમાં હિમાલય અને પશ્ચિમ ઘાટ સૌથી વધુ સંવેદનશીલ છે.
નિષ્ણાતોના મતે, ૮૦%થી વધુ ભૂસ્ખલન જૂનથી સપ્ટેમ્બરના ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે થાય છે. જોકે, રસ્તા, સુરંગ, ડેમ નિર્માણ, ખનન અને જંગલોની આડેધડ કટાઈ જેવી માનવીય પ્રવૃત્તિઓ પણ આ જોખમમાં મોટો વધારો કરે છે. હાલમાં GSI દ્વારા દેશભરમાં ‘લેન્ડસ્લાઇડ સસ્પ્ટિબિલિટી મેપ’ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેથી સમયસર ચેતવણી આપીને જાનમાલનું નુકસાન અટકાવી શકાય.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




