Tragedy in Thailand: થાઈલેન્ડના મુકદાહન શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક ૧૧ વર્ષના સગીર બાળકે પોતાના માતા-પિતાની મંજૂરી વિના ચલાવેલી પિકઅપ ટ્રકે રસ્તા પર ચાલી રહેલા બૌદ્ધ ભિક્ષુઓના સમૂહને કચડી નાખ્યો હતો. આ કમકમાટીભર્યા અકસ્માતમાં ઓછામાં ઓછા ૯ બૌદ્ધ ભિક્ષુઓનાં કરુણ મોત નિપજ્યા છે, જ્યારે ૩ ભિક્ષુઓની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનો એક હૃદય કંપાવતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

Tragedy in Thailand: મંદિરની તીર્થયાત્રા દરમિયાન કાળ આંબી ગયો
રાજધાની બેંકોકથી આશરે ૬૫૦ કિલોમીટર દૂર આવેલા મુકદાહન પ્રાંતના રાજ્યપાલ વોરાયન બુનારતે ઘટના અંગે સત્તાવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ૩૪ બૌદ્ધ ભિક્ષુઓ અને તેમના ૫ ગૃહસ્થ અનુયાયીઓનો એક સમૂહ ધાર્મિક તીર્થયાત્રા પર નીકળ્યો હતો. તેઓ પોતાના પ્રાંતના એક મંદિરથી પડોશી ઉબોન રત્ચથાની પ્રાંતમાં આવેલા બીજા પવિત્ર મંદિર તરફ પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન સવારના આશરે ૧૧ વાગ્યાની આસપાસ કાળ બનીને આવેલી પિકઅપ ટ્રકે આ સમૂહને પાછળથી જોરદાર ટક્કર મારી હવામાં ઉડાડી દીધા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે ૫ ભિક્ષુઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૪ ભિક્ષુઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. મુકદાહન પ્રાંતીય કાર્યાલય દ્વારા સત્તાવાર રીતે ૯ ભિક્ષુઓના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

Tragedy in Thailand: માતા-પિતાની જાણ બહાર ૧૦ કિમી સુધી ટ્રક દોડાવી
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ૧૧ વર્ષનો સગીર છોકરો પોતાના માતા-પિતાની મંજૂરી કે જાણ બહાર ઘરની પિકઅપ ટ્રકની ચાવી લઈને નીકળી ગયો હતો. તે હાઈવે પર આશરે ૧૦ કિલોમીટર સુધી પુરપાટ ઝડપે ટ્રક ચલાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક વાહન પરથી તેનો કાબૂ ગુમાવતા રસ્તાની સાઈડમાં ચાલી રહેલા ભિક્ષુઓ પર ટ્રક ફરી વળી હતી. પ્રાંતના પોલીસ વડા મેજર જનરલ પૈરોઝ થાઈફુત્રાએ જણાવ્યું કે, છોકરો હાલ ભારે આઘાતમાં હોવાથી અને માનસિક સ્થિતિ અસ્થિર હોવાથી તેનું નિવેદન લઈ શકાયું નથી. આ મામલે કાયદેસરની તપાસ ચાલી રહી છે.
Tragedy in Thailand: થાઈલેન્ડમાં શોકનો માહોલ
થાઈલેન્ડમાં બૌદ્ધ ભિક્ષુઓ પ્રત્યે અત્યંત આદર અને પૂજ્યભાવ રાખવામાં આવે છે, કારણ કે તેઓ બુદ્ધના ઉપદેશોના સંરક્ષણ અને પ્રસારનું પવિત્ર કાર્ય કરે છે. ત્યાં આવા ધાર્મિક સરઘસો અને તીર્થયાત્રાઓ ખૂબ સામાન્ય છે, જેમાં સ્થાનિક લોકો ભિક્ષુઓને ભોજન અને દાન અર્પણ કરતા હોય છે. આ પવિત્ર તીર્થયાત્રા દરમિયાન જ એક નાબાલિકની જીવલેણ ભૂલના કારણે ૯ ભિક્ષુઓના મોતે સમગ્ર થાઈલેન્ડને હચમચાવી દીધું છે અને દેશભરમાં શોકની લહેર દોડી ગઈ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




