Narmada Journalist Attacked: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સ્થાનિક પત્રકાર ગીરીશભાઈ બારીયા પર બુટલેગરો દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલાને પગલે સમગ્ર જિલ્લાના પત્રકાર આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટના બાદ તિલકવાડા પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે અને પત્રકારો સહિત સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક સૂત્રો અને લોકચર્ચા મુજબ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના હાઈવે રોડ પર આવેલા પાન-પડીકીના ગલ્લા તેમજ કોલ્ડ્રિંક્સની દુકાનોની આડમાં મોટા પાયે દેશી અને વિદેશી (ઇંગ્લિશ) દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. સરકારી તંત્ર અને પોલીસ પ્રશાસન આ બુટલેગરો સામે કોઈ કડક પગલાં નથી ભરી રહ્યું, જેને કારણે ગુનેગારોના હોંસલા બુલંદ થયા છે અને પત્રકાર પર હુમલો કરવાની હિંમત કરી છે.
Narmada Journalist Attacked: રાજકીય અને સામાજિક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ

પત્રકાર ગીરીશભાઈ બારીયા પર થયેલા આ હુમલાની ઘટનાને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદ (રાજપીપલા)ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, આમ આદમી પાર્ટી (AAP)ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તેમજ ભાજપ અને આપના અન્ય રાજકીય આગેવાનો સહિત રાજપીપલા અને તિલકવાડાના સામાજિક સંગઠનોએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે.
Narmada Journalist Attacked: સાંસદ મનસુખભાઈ વસાવાનો LCB PI સામે ખુલ્લો મોરચો અને આંદોલનની ચીમકી

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પત્રકારોના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવ્યા છે. તેમણે આ મામલે નર્મદા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીની કામગીરી સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ આકરા શબ્દોમાં બાઈટ (નિવેદન) આપતા જણાવ્યું છે કે, જો ટૂંક સમયમાં હાઈવે પર ચાલતા આ તમામ દારૂના અડ્ડા બંધ કરાવવામાં નહીં આવે અને ઇંગ્લિશ દારૂ વેચનારા બુટલેગરોની ધરપકડ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વહીવટી તંત્ર સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરાના અટલાદરામાં ગેરેજ વિવાદ લોહિયાળ બન્યો, પાર્કિંગ મુદ્દે હિંસક હુમલો, કાર-મકાનમાં તોડફોડ સાથે 3 મહિલા સહિત 4 ઈજાગ્રસ્ત




