High Drama in Porbandar:પોરબંદર જિલ્લાના માધવપુર નજીકથી સરકારી ફરજમાં બેદરકારી દાખવવાના મામલે એક શાળાના આચાર્યની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા સમગ્ર પંથકના શૈક્ષણિક આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. માધવપુરની રોડ પ્રાથમિક શાળાના આચાર્ય પંડ્યા પુનિતકુમાર વિનોદકુમાર વસ્તીગણતરીની મહત્વપૂર્ણ કામગીરીમાં હાજર ન રહેતા વહીવટી તંત્ર દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું હતું. જોકે, શિક્ષક સંઘની રજૂઆત અને જિલ્લા કલેક્ટરની સમયસરની મધ્યસ્થી બાદ મામલો શાંત પડ્યો હતો.
High Drama in Porbandar:શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય વસ્તીગણતરી અંતર્ગત રોડ પ્રાથમિક શાળાના આચાર્ય પુનિતકુમાર પંડ્યાને સરકારી ફરજ સોંપવામાં આવી હતી. પરંતુ શાળામાં શિક્ષકોની ઘટ હોવાના કારણે તેઓ આ કામગીરીમાં સમયસર હાજર થઈ શક્યા નહોતા. સરકારી આદેશનો અનાદર થતાં વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને પોલીસ દ્વારા આચાર્ય પુનિતકુમારની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે આચાર્યની અટકાયત કરીને તેમને તાત્કાલિક મામલતદાર કચેરી ખાતે હાજર કર્યા હતા. મામલતદાર દ્વારા કાયદાકીય જોગવાઈઓ હેઠળ આચાર્યની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો હતો.
High Drama in Porbandar:શિક્ષક સંઘની દોડધામ અને કલેક્ટરને રજૂઆત

આચાર્યની અટકાયત અને જેલ ભેગા કરવાની તંત્રની તૈયારીઓના સમાચાર વાયુવેગે પ્રસરતા જ પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય શિક્ષક સંઘ હરકતમાં આવ્યું હતું. શિક્ષક સંઘના હોદ્દેદારો તાત્કાલિક જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી.
શિક્ષક સંઘની રજૂઆતને ગંભીરતાથી લઈને અને શૈક્ષણિક કાર્યને નુકસાન ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટરે ત્વરિત નિર્ણય લીધો હતો. કલેક્ટરે આચાર્ય વિરુદ્ધ જારી કરાયેલું ધરપકડ વોરંટ તાત્કાલિક અસરથી રદ કરવા સૂચના આપી હતી અને શિક્ષકને જેલ ભેગા કરવાના બદલે વસ્તીગણતરીની કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો હતો.
High Drama in Porbandar:”શાળામાં માત્ર બે જ શિક્ષક, કામ કેવી રીતે કરવું?”: આચાર્યની વ્યથા
આ સમગ્ર વિવાદ અંગે પોતાની વ્યથા ઠાલવતા રોડ પ્રાથમિક શાળાના આચાર્ય પુનિતકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે, “અમારી શાળામાં સ્ટાફની ભારે અછત છે. આખી શાળામાં માત્ર બે જ શિક્ષકો છે, જેમાં આચાર્ય તરીકે હું પોતે પણ સમાવિષ્ટ છું. આવી પરિસ્થિતિમાં જો હું શાળા છોડીને વસ્તીગણતરીની કામગીરીમાં જતો રહું, તો શાળાના બાળકોના શિક્ષણનું શું થાય? સ્ટાફની આવી ઘટ વચ્ચે વસ્તીગણતરીની ફરજ કેવી રીતે બજાવવી, એ મોટો પ્રશ્ન હતો.”
આ પણ વાંચો : જ્ઞાન સહાયકો માટે મોટા રાહતના સમાચાર: રાજ્ય સરકારનો કરાર રિન્યુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય




