Surat Toll Plaza Dispute: સુરત જિલ્લાના અરેઠના પાસે આવેલા કરંજ ટોલ નાકા પર સ્થાનિક વાહન ચાલકો અને ટોલ સંચાલકો વચ્ચેનો જૂનો વિવાદ ફરી એકવાર ગરમાયો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાહનો પાસેથી પણ નિયમો વિરુદ્ધ જઈને ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિકોએ ટોલ પ્રશાસનને અલ્ટીમેટમ આપતાં ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી ૧૨ જૂન ૨૦૨૬ના રોજ સવારે કરંજ ટોલ નાકા ખાતે જંગી જનમેદની સાથે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
Surat Toll Plaza Dispute: સ્થાનિકોની મુખ્ય માંગ; ‘૫ કિલોમીટરની ત્રિજ્યામાં ટોલ મુક્તિ આપો’
નજીકના ગામોમાં રહેતા અને રોજિંદી અવરજવર કરતા વાહન ચાલકોનું કહેવું છે કે, તેઓ ઘરથી ખેતર કે ઓફિસે જવા માટે દિવસમાં પાંચથી છ વખત આ જ રસ્તેથી પસાર થાય છે. દર વખતે તેમની પાસેથી ટોલ વસૂલવો તે આર્થિક રીતે કમરતોડ અને તદ્દન અન્યાયી છે. સ્થાનિક આગેવાનોએ ટોલ તંત્રને એક લેખિત રજૂઆત સોંપી છે, જેમાં ટોલ નાકાથી ૫ કિલોમીટરની અંદર આવતા તમામ ગામોના ખાનગી અને કોમર્શિયલ વાહનોને ટોલમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે.
Surat Toll Plaza Dispute: શું કહે છે ગામના સરપંચ અને સ્થાનિક વાહન ચાલકો?

આ વિવાદ અંગે કરંજ ગામના સરપંચ અને સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો:
બાઈટ ૧: અલ્પેશ પટેલ (સરપંચ – કરંજ ગામ) “અમારા કરંજ ગામ અને આસપાસના વિસ્તારોના લોકો વર્ષોથી અહીં રહે છે. ખેતીવાડી અને રોજગાર માટે અમારે દિવસમાં અનેકવાર આ નાકા પરથી પસાર થવું પડે છે. ટોલ સંચાલકોની દાદાગીરી હવે સહન સીમા વટાવી ગઈ છે. અમે લેખિતમાં રજૂઆત કરી દીધી છે. જો ૧૨ જૂન સુધીમાં ૫ કિલોમીટરની અંદરના તમામ સ્થાનિક વાહનો માટે ટોલ મુક્તિનો સત્તાવાર નિર્ણય નહીં લેવાય, તો સમગ્ર કરંજ ગામ અને આસપાસના ગ્રામજનો ટોલ નાકા પર એકત્ર થઈને ચક્કાજામ કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.”
બાઈટ ૨: વિજય પટેલ (સ્થાનિક વાહન ચાલક) “રોજિંદી અવરજવર માટે અમારે આટલો મોટો ટોલ ટેક્સ ચૂકવવો પડે તે નર્યો અન્યાય છે. અમે અહીંના સ્થાનિક નાગરિકો છીએ, કોઈ બહારના મુસાફર નથી. ટોલ સંચાલકો સાથે આ બાબતે રોજ રોજ ઘર્ષણ થાય છે અને માથાકૂટના દ્રશ્યો સર્જાય છે. અમારો વ્યવસાય અને બજેટ બંને ખોરવાઈ ગયા છે. આ લડત હવે આરપારની છે, ૧૨ જૂને અમે શાંત બેસવાના નથી.”
Surat Toll Plaza Dispute: ૧૨ જૂને આંદોલનના ભણકારા
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ મુદ્દે મૌખિક આશ્વાસનો આપવામાં આવ્યા હતા પરંતુ ગ્રા3ઉન્ડ લેવલ પર કોઈ ઉકેલ આવ્યો નથી. આ વખતે આરપારની લડાઈ લડવાના મૂડમાં રહેલા ગ્રામજનોએ આગામી શુક્રવાર, ૧૨ જૂન ૨૦૨૬ના રોજ સવારથી જ કરંજ ટોલ નાકા પર ધરણા પ્રદર્શન અને આંદોલન કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ આંદોલનને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘તમે પ્લોટ પર કબજો કર્યો કેવી રીતે?’, વડોદરા જમીન વિવાદમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો હાઈકોર્ટે લીધો આકરો ઉધડો




