PM Modi in Somnath: ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાને અહીં શિખર પૂજન, જળાભિષેક અને વાયુસેનાના શક્તિ પ્રદર્શન સહિતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
PM Modi in Somnath: શિખર પર કુંભાભિષેક અને વિશિષ્ટ પૂજા

વડાપ્રધાન મોદીએ મંદિરના 90 મીટર ઊંચા શિખર પર ખાસ ક્રેનની મદદથી 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. ત્યારબાદ સોમનાથ મહાદેવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષાએ વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું.
PM Modi in Somnath: ભક્તિ સાથે શક્તિનો સંગમ: પોખરણ અને ચંદ્રયાન

જનસભાને સંબોધતા પીએમ મોદીએ 11 મેના ઐતિહાસિક મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ (ઓપરેશન શક્તિ) કરીને વિશ્વને પોતાની તાકાત બતાવી હતી. તેમણે ઉમેર્યું કે, “શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે”. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ભારત તેની આધ્યાત્મિક ચેતનાના જોરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે.
PM Modi in Somnath: સાંસ્કૃતિક વિરાસત અને સ્વાભિમાન


વડાપ્રધાને સરદાર પટેલના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે, સોમનાથનો જીર્ણોદ્ધાર એ ભારતનું સ્વાભિમાન હતું. તેમણે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને મહાકાલ લોકનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. સંબોધનના અંતે તેમણે કરેલા “હર હર મહાદેવ”ના નાદથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું.
‘સોમનાથ અમૃતપર્વ-2026’ ના મુખ્ય આકર્ષણો

- ભવ્ય રોડ-શો: હેલિપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધીના 2 કિમીના રોડ-શોમાં લાખોની મેદની ઉમટી હતી.
- સૂર્યકિરણ એર શો: વાયુસેનાની એરોબેટિક ટીમ દ્વારા આકાશમાં અદભૂત કરતબો બતાવવામાં આવ્યા હતા.
- સ્મારક સિક્કો અને ટિકિટ: પીએમએ રૂ. 75નો ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું.
- મ્યુઝિયમ મુલાકાત: પૂજા બાદ તેમણે સોમનાથ ટ્રસ્ટના મ્યુઝિયમમાં પ્રાચીન અવશેષો નિહાળ્યા હતા.
સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કરી પીએમ મોદી બપોરે 3:30 વાગ્યે વડોદરા જવા રવાના થયા હતા. વડોદરામાં તેઓ ‘સરદારધામ-3’ નું લોકાર્પણ કરશે, જ્યાં પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ઉજવણી રૂપે ‘બંગાળ થીમ’ પર તેમનું સ્વાગત કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કારચાલકે સાયકલ સવારને ફૂટબોલની જેમ 10 ફૂટ હવામાં ફંગોળ્યો, રૂવાડાં ઊભા કરી દે તેવા CCTV આવ્યા સામે




