Cricket Carnival: ક્રિકેટ રસિકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ફાઇનલ મેચ ફરી એકવાર અમદાવાદના આંગણે રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા મંગળવારે પ્લેઓફ મુકાબલાઓનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીઝનનો ગ્રાન્ડ ફિનાલે યોજાશે.
આ સાથે જ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઇતિહાસમાં ચોથી વખત (2022, 2023, 2025 અને હવે 2026) IPL ફાઇનલની મેજબાની કરવા જઈ રહ્યું છે. મહત્વનું છે કે, IPL 2025ની ફાઇનલ પણ અહીં જ રમાઈ હતી, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ પંજાબ કિંગ્સને હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો.
Cricket Carnival: વિવાદના કારણે બેંગલુરુથી અમદાવાદ શિફ્ટ થઈ ફાઇનલ

અગાઉ IPL 2026ની ફાઇનલ મેચ બેંગલુરુમાં યોજાવાની હતી. જોકે, બેંગલુરુના સ્થાનિક ક્રિકેટ એસોસિએશન અને અધિકારીઓની કેટલીક એવી માંગણીઓ હતી જે BCCIના નિયમો અને ગાઇડલાઇન્સની બહાર હતી. આ આંતરિક વિવાદ અને પ્રોટોકોલના ભંગને કારણે BCCIએ છેલ્લી ઘડીએ ફાઇનલનું સ્થળ બદલીને અમદાવાદને આ મોટી જવાબદારી સોંપી દીધી છે.
Cricket Carnival: ધર્મશાલા અને ચંદીગઢમાં રમાશે નોકઆઉટ મેચો

IPL 2026માં 5 મે સુધીમાં 48 મેચો રમાઈ ચૂકી છે. લીગ સ્ટેજની તમામ 70 મેચો પૂર્ણ થયા બાદ 26 મેથી પ્લેઓફના રોમાંચક મુકાબલાઓ શરૂ થશે:
- ક્વોલિફાયર-1 (26 મે): પોઈન્ટ્સ ટેબલની ટોપ-2 ટીમો વચ્ચેનો આ જંગ ધર્મશાલાના રમણીય HPCA સ્ટેડિયમમાં રમાશે.
- એલિમિનેટર (27 મે): ત્રીજા અને ચોથા નંબરની ટીમો વચ્ચેનો કરો કે મરો મુકાબલો ચંદીગઢના ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
- ક્વોલિફાયર-2 (29 મે): ફાઇનલમાં પહોંચવા માટેની આ નિર્ણાયક મેચ પણ ચંદીગઢના સ્ટેડિયમમાં જ યોજાશે.
- ગ્રાન્ડ ફાઇનલ (31 મે): આખી સીઝનનો મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ઇન્ડિગોની ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ: ધુમાડો ભરાતાં અફરાતફરી, ઇમરજન્સી ગેટથી 198 મુસાફરોનું રેસ્ક્યૂ




