Historic Change:પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટની સ્થાપનાના 77 વર્ષ બાદ પ્રથમ વખત સત્તાવાર લોગો (Logo) બદલવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલથી અમલી બનનારો આ નવો લોગો માત્ર એક ડિઝાઈન નથી, પણ સનાતન ધર્મ અને પ્રભાસ ક્ષેત્રની દિવ્ય ઉર્જાનું પ્રતિક છે.

Historic Change: નવા લોગોમાં શું બદલાયું?
- જૂનો લોગો: અગાઉના લોગોમાં મંદિરનું શિખર અને ‘જય સોમનાથ’ લખેલું હતું.
- નવો લોગો: હવે શિખરના સ્થાને ભવ્ય ‘ત્રિશૂળ‘ ની આકૃતિ છે, જે વાદળી રંગના બેકગ્રાઉન્ડ પર સુશોભિત છે અને નીચે માત્ર ‘સોમનાથ’ લખેલું છે.
Historic Change: લોગો પાછળનું આધ્યાત્મિક રહસ્ય

સોમનાથ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ નવા લોગોના દરેક રંગ અને પ્રતિક પાછળ ગહન અર્થ છુપાયેલો છે:
- શિખરને બદલે ‘ત્રિશૂળ જ્યોત‘: ત્રિશૂળ એ ભગવાન શિવ અને શક્તિના મિલનનું પ્રતિક છે. તેમાં વપરાયેલ પીળો અને કેસરી રંગ સૃષ્ટિના સર્જન અને બ્રહ્માંડના સંતુલનને દર્શાવે છે.
- કોસ્મિક બ્લુ (ઘેરો વાદળી) રંગ: આ રંગ ‘અનંત ઉર્જા ક્ષેત્ર’ અને ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ ભગવાન શ્રીકૃષ્ણએ દેહોત્સર્ગ કર્યો હતો, તેથી આ રંગ વિષ્ણુના ‘જલશાયી નારાયણ’ સ્વરૂપ અને નીલકંઠ મહાદેવના ત્યાગનો સાક્ષી છે.
- પવિત્ર જળાશયોનું પ્રતિક: વાદળી રંગ ત્રિવેણી સંગમ, સોમનાથ સરોવર, ભાલકા સરોવર અને રત્નાકર સાગર (સમુદ્ર) ને સમર્પિત છે.
- બ્રહ્માંડનો ગર્ભ: લોગોનો ગોળાકાર આકાર એ દર્શાવે છે કે સોમનાથ માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પણ સમગ્ર સૃષ્ટિની ઉર્જાનું ઉદગમ સ્થાન છે.
Historic Change: ક્યાં ક્યાં જોવા મળશે નવો લોગો?
નવો લોગો 1 એપ્રિલથી ટ્રસ્ટના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, લેટરપેડ, હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડ્સ પર સત્તાવાર રીતે કાર્યરત થઈ જશે. હિન્દુ નવવર્ષના પ્રારંભે આ નવી ઓળખને ટ્રસ્ટે ‘સ્વાભિમાન પર્વ‘ અને નવા સૂર્યોદય સમાન ગણાવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : નેપાળમાં ‘બાલેન યુગ’નો પ્રારંભ સૌથી યુવાન વડાપ્રધાન તરીકે બાલેન્દ્ર શાહે લીધા શપથ, ભારત સાથેના સંબંધો પર પીએમ મોદીની ખાસ ચર્ચા




