Air raid in Kabul:પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદી અથડામણ હવે ભયાનક યુદ્ધમાં ફેરવાઈ રહી છે. સોમવારે રાત્રે પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં એક 2000 બેડની નશા મુક્તિ હોસ્પિટલ નિશાન બની છે, જેમાં અંદાજે 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
Air raid in Kabul:તાલિબાનનો સણસણતો આરોપ, પાકિસ્તાનનો ઇનકાર

તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ હુમલાની સખત નિંદા કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને જાણી જોઈને હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન અને યુદ્ધ અપરાધ છે. બીજી તરફ, પાકિસ્તાન સરકારે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમણે માત્ર આતંકી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે.
Air raid in Kabul:ઓપરેશન ‘ગજબ-લિલ-હક’ અને વળતો પ્રહાર

પાકિસ્તાને આ આક્રમક કાર્યવાહી ઓપરેશન ‘ગજબ-લિલ-હક’ હેઠળ કરી હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનનો આરોપ છે કે પ્રતિબંધિત સંગઠન TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર હુમલા કરી રહ્યું છે. રવિવારે કંધારમાં થયેલી એરસ્ટ્રાઈકના જવાબમાં તાલિબાન સેનાએ પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર પણ હુમલા કર્યા હતા.
Air raid in Kabul:ક્રિકેટર રાશિદ ખાનની UN પાસે તપાસની માંગ

અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને આ હુમલા અંગે દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, “સામાન્ય લોકોના વિસ્તારો, શાળાઓ અને હોસ્પિટલો પર હુમલો કરવો એ યુદ્ધ અપરાધ છે.” તેમણે ખાસ કરીને રમઝાનના પવિત્ર મહિનામાં થયેલી આ હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર (UN) પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
ભયાનક સ્થિતિ અને હિજરત:
- જાનહાનિ: છેલ્લા કેટલાક અઠવાડિયામાં પાકિસ્તાની કાર્યવાહીમાં 56થી વધુ નાગરિકો (24 બાળકો સહિત) જીવ ગુમાવી ચૂક્યા છે.
- હિજરત: યુદ્ધ જેવી સ્થિતિને કારણે અંદાજે 1.15 લાખ લોકો પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવા મજબૂર બન્યા છે.
- હોસ્પિટલની સ્થિતિ: 2000 બેડની આ હોસ્પિટલમાં હુમલા બાદ ભીષણ આગ લાગી હતી અને અનેક દર્દીઓ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
શા માટે લડી રહ્યા છે પાકિસ્તાન અને TTP?
આ વિવાદના મૂળમાં TTP સંગઠન છે. TTP પાકિસ્તાન સરકારને ઇસ્લામ વિરોધી માને છે અને અફઘાન તાલિબાન સાથે તેના ગાઢ સંબંધો છે. પાકિસ્તાન સતત અફઘાન સરકાર પર દબાણ કરી રહ્યું છે કે તેઓ TTP ને આશરો ન આપે, જ્યારે તાલિબાન આવા કોઈ પણ આશરાનો ઇનકાર કરી રહ્યું છે.
આ પણ વાંચો :3 રાજ્યોની 11 બેઠકો માટે મતદાન ચાલુ , બિહારમાં નીતિશ કુમાર મેદાનમાં તો હરિયાણા-ઓડિશામાં ક્રોસ-વોટિંગનો ફાળ



