Jayraj Ahir Granted Bail:ભાવનગર જિલ્લાના બગદાણામાં બનેલી ચકચારી હુમલાની ઘટનામાં સંડોવાયેલા જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત કુલ ૬ આરોપીઓને આજે મોટી રાહત મળી છે. મહુવા કોર્ટે લાંબી કાયદાકીય દલીલો બાદ તમામ આરોપીઓની શરતી જામીન અરજી મંજૂર કરી છે. આ સાથે જ જયરાજ આહીર ૧૪ દિવસના જેલવાસ બાદ આજે જેલની બહાર આવશે.
Jayraj Ahir Granted Bail:શું હતો સમગ્ર મામલો?

નવનીત બાલધિયા પર હુમલો કરવાના આરોપસર જયરાજ આહીર અને અન્ય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે ધરપકડ કર્યા બાદ તમામ આરોપીઓ જેલમાં હતા. ગઈકાલે મહુવા કોર્ટમાં આરોપીઓના વકીલો દ્વારા જેલમુક્તિ માટે જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
Jayraj Ahir Granted Bail:કોર્ટમાં દલીલો અને ચુકાદો
જયરાજ આહીરના વકીલ ગુણવંત આહીરે માહિતી આપતા જણાવ્યું કે, કોર્ટમાં બંને પક્ષો વચ્ચે લાંબી દલીલો ચાલી હતી. અંતે, આજે (૭ ફેબ્રુઆરી) મહુવા કોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખીને જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ સોલંકી અને અજય ઉર્ફે મોટો ભાલીયાના શરતી જામીન મંજૂર કર્યા છે.

આજે સાંજ સુધીમાં મુક્તિ
કોર્ટના આદેશ બાદ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તમામ ૬ આરોપીઓ આજે સાંજ સુધીમાં જેલમાંથી મુક્ત થાય તેવી શક્યતા છે. ૧૪ દિવસ બાદ જયરાજ આહીર જેલની બહાર આવવાના હોવાથી તેમના સમર્થકો અને પરિવારમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.




