AMC Demolition : શહેરના તળાવો અને જળસંગ્રહ વિસ્તારને દબાણમુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ વધુ તેજ બની છે. ચંડોળા અને ઈસનપુર બાદ હવે વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર આજે 20 જાન્યુઆરીની વહેલી સવારથી મેગા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી છે.
AMC Demolition :400 જેટલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર

AMC દ્વારા વાંદરવટ તળાવની અંદર અને આસપાસ કરવામાં આવેલા અંદાજે 400 જેટલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તળાવના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવા માટે વિશાળ પાયે આ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
AMC Demolition :ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઝોન-6 પોલીસ સ્ટેશનના આશરે 500 જેટલા પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સાથે જ AMCના 300થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર રહી સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે.

AMC Demolition :10 હિટાચી અને 5 JCB મશીનો કામે
આ મેગા ઓપરેશન માટે AMC દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એસ્ટેટ વિભાગની કુલ 10 ટીમો આ કામગીરીમાં જોડાઈ છે. દબાણો દૂર કરવા માટે 10 હિટાચી મશીનો, 5 JCB અને મોટી સંખ્યામાં મજૂરોની ટીમ કાર્યરત છે.
AMC Demolition :નોટિસ બાદ પણ દબાણ ન હટાવતાં કાર્યવાહી
AMC દ્વારા અગાઉ તમામ દબાણકર્તાઓને કાયદેસરની નોટિસ આપી સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં, કેટલાક રહીશો દ્વારા બાંધકામ દૂર ન કરાતા અંતે તંત્રને બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાની ફરજ પડી.

ઘરવિહોણા બનનારાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા
મ્યુનિસિપલ કોર્પોરેશને માનવતાવાદી અભિગમ અપનાવી ઘરવિહોણા બનનારા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. રહીશોને સામાન ખસેડવા માટે AMTS બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જે પરિવારો પાસે રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, તેમને AMC દ્વારા સંચાલિત શેલ્ટર હોમમાં ખસેડવાની સુવિધા આપવામાં આવી છે.
તળાવની જળસંગ્રહ ક્ષમતા વધશે
તંત્રના જણાવ્યા અનુસાર, આ ડિમોલિશન પૂર્ણ થયા બાદ વાંદરવટ તળાવની જળસંગ્રહ ક્ષમતા વધશે અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં પણ નોંધપાત્ર સુધારો થશે.




