Tragedy in Surat: શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થિનીઓના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાળપણથી સાથે ભણેલી અને ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે સખીઓએ આત્મઘાતી પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
Tragedy in Surat: કોલેજ જવા નીકળી હતી, પણ પરત ન ફરી

મૃતક યુવતીઓની ઓળખ રોશની શરદ શિરસાઠ (18 વર્ષ) અને જોસના અતુલ ચૌધરી (20 વર્ષ) તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બંને યુવતીઓ સવારે 7 વાગ્યે કોલેજ જવા માટે નીકળી હતી. બપોરે 12:30 વાગ્યા સુધીમાં ઘરે પરત ન ફરતા અને ફોન ન ઉપાડતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. અંતે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા તેમનું લોકેશન સ્વામિનારાયણ મંદિર પાસે મળ્યું હતું.
Tragedy in Surat: બાથરૂમનો દરવાજો તોડ્યો ને સામે આવ્યું ભયાનક દ્રશ્ય
પરિવારના સભ્યો જ્યારે મંદિર પહોંચ્યા ત્યારે ત્યાં તેમની ગાડી પાર્ક કરેલી મળી આવી હતી. સમગ્ર પરિસરમાં તપાસ કર્યા બાદ એક બાથરૂમની લાઈટ ચાલુ જોઈ શંકા જતા પરિવારે દરવાજો તોડ્યો હતો. અંદર જોયું તો બંને યુવતીઓ બેભાન અવસ્થામાં પડી હતી. તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી.
Tragedy in Surat: ઘટનાસ્થળેથી ઝેરના પડીકા મળી આવ્યા

ડીંડોલી પોલીસના PI આર. જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજ મુજબ બંને યુવતીઓ સવારે 7:15 વાગ્યે મંદિરમાં પ્રવેશી હતી અને 7:30 વાગ્યે બાથરૂમ તરફ ગઈ હતી. તપાસ દરમિયાન બાથરૂમમાંથી ઝેરના પડીકા મળી આવ્યા છે, જેને FSL તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ સામૂહિક આત્મહત્યાનો કિસ્સો હોવાનું જણાય છે.
Tragedy in Surat: બાળપણની અતૂટ દોસ્તીનો કરુણ અંત

મૃતક યુવતીઓના સંબંધીઓએ ભારે હૈયે જણાવ્યું કે, બંને પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી એક જ સ્કૂલમાં સાથે ભણી હતી. તેમની દોસ્તી ખૂબ જ ગાઢ હતી. નાનપણની આ મૈત્રીનો આ પ્રકારે કરુણ અંત આવતા બંને પરિવારોમાં આક્રંદ છવાઈ ગયો છે.
પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. યુવતીઓએ આવું અંતિમ પગલું શા માટે ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો :સૌરાષ્ટ્રમાં નિર્લિપ્ત ‘રાય’ રાજકોટ રેન્જમાં એન્ટ્રીથી માફિયાઓમાં ફફડાટ, બાહુબલીઓના ગઢમાં હવે કાયદાનું શાસન




