Surat news : સુરતમાં વ્યાજખોરોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં એક ઝીંગાના વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરનો વીડિયો સામે આવ્યો છે. પત્નીના દાગીના અને જમીન વેચીને મુદ્દલ કરતા વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં, મિલકત પચાવી પાડવા ધમકી આપતા વ્યાજખોર આનંદ ચાસિયાની પોલીસે ધરપકડ કરી છે.
Surat news : શું છે સમગ્ર મામલો?

પાલનપુર પાટિયાની દીનદયાળ સોસાયટીમાં રહેતા સુશીલ પટેલ ઝીંગા ઉછેર અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2020માં લોકડાઉન દરમિયાન ધંધામાં નુકસાન થતા તેમણે મિત્ર મારફતે આનંદ બાલુભાઈ ચાસિયા પાસેથી માસિક 5% વ્યાજે ટૂકડે-ટૂકડે 51 લાખ રૂપિયા લીધા હતા. વ્યાજખોરે સિક્યોરિટી પેટે વેપારીના ઘર અને જમીનના અસલ દસ્તાવેજો લખાવી લીધા હતા.
Surat news : 85 લાખ ચૂકવ્યા છતાં વધું 35 લાખની માંગણી
વેપારીએ વ્યાજખોરના ત્રાસથી બચવા માટે:
- મિત્ર પાસેથી 15 લાખની મદદ લઈને ચૂકવ્યા.
- પત્નીના ઘરેણાં વેચીને અન્ય 15 લાખની ચુકવણી કરી.
- છેલ્લા ચાર વર્ષમાં કુલ 85 લાખ રૂપિયા (34 લાખ વ્યાજ સહિત) ભરી દીધા હતા.
આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોર આનંદ ધરાયો નહોતો અને વધુ 35 લાખ રૂપિયાની માંગણી કરી વેપારીની જમીનનો સાટાખત પણ લખાવી લીધો હતો.
“પોલીસ બોલાવી છે ને, તો હું બેસું” – વ્યાજખોરની દાદાગીરી

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યાજખોર આનંદ ચાસિયા વેપારીના ઘરમાં ઘૂસીને ધાક-ધમકી આપી રહ્યો છે. જ્યારે વેપારીએ કહ્યું કે મોબાઈલમાં વીડિયો ઉતરે છે અને પોલીસને જાણ કરી છે, ત્યારે પણ વ્યાજખોરે બેફામ બનીને કહ્યું હતું કે, “પોલીસ બોલાવી છે ને તો હું બેસું, બોલાવી લો પોલીસને.” આ ઘટના બાદ વેપારીએ હિંમત કરી રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કાર્યવાહી
વેપારીની ફરિયાદના આધારે રાંદેર પોલીસે ગણતરીની કલાકોમાં જ નામચીન ફાઈનાન્સર આનંદ ચાસિયાની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ વ્યાજખોરે અન્ય કેટલા નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે.
આ પણ વાંચો : સોમનાથમાં લવંડર ફૂલોનો દિવ્ય શણગાર, તો સુરતમાં પોલીસ સંચાલિત ઈચ્છાનાથ મહાદેવના દ્વારે ભક્તોની ભીડ



