Patanjali Ayurveda: કોવિડ મહામારી (Covid Pandemic) દરમિયાન પતંજલિ આયુર્વેદની જાહેરાતો અને તેના માલિક બાબા રામદેવના નિવેદનો સામે વાંધો ઉઠાવતી ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. એલોપેથી અને તેની દવાઓ અને રસીકરણ માટે બાબા રામદેવના નિવેદનો અને જાહેરાતો સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) ની અરજી પર સુનાવણી કરતા, જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે એલોપેથી વિશે ભ્રામક દાવાઓ અને જાહેરાતો પ્રકાશિત કરવા બદલ પતંજલિને ફટકાર લગાવી.
- હાઇલાઇટ્સ
સુપ્રીમ કોર્ટે ભ્રામક દાવાઓ અને જાહેરાતો માટે પતંજલિને ફટકાર લગાવી
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને અરજી દાખલ કરી હતી
IMA (Indian Medical Association) ની અરજી પર પતંજલિ આયુર્વેદ લિમિટેડને નોટિસ ફટકારાઈ
આધુનિક પદ્ધતિઓ વિરુદ્ધ ભ્રામક દાવાઓ અને જાહેરાતો પ્રકાશિત ના કરો : કોર્ટ
સર્વોચ્ચ અદાલતે યોગ ગુરુ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને વિવિધ રોગો અંગેની તેની દવાઓ વિશેની જાહેરાતોમાં “ખોટા” અને “ભ્રામક” દાવા કરવા સામે ચેતવણી આપી છે. સુપ્રીમ કોર્ટે પતંજલિને એલોપેથિક દવાઓ અને રસીકરણ સામે કોઈ ભ્રામક જાહેરાતો અથવા ખોટા દાવા ન કરવા જણાવ્યું છે. કોર્ટે ચેતવણી આપી છે કે આવી કોઈ જાહેરાત ન તો પ્રકાશિત કરવી જોઈએ અને ન તો મીડિયામાં કોઈ નિવેદન આપવું જોઈએ.
કોર્ટે કહ્યું કે, અમે આ મામલાને એલોપેથી વિરુદ્દ આયુર્વેદની ચર્ચા બનાવવા માંગતા નથી, પરંતુ અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો ઉકેલ શોધવા માંગીએ છીએ. આ સિવાય કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારે ગેરમાર્ગે દોરતી મેડિકલ એડવર્ટાઈઝનો સામનો કરવા માટે એક પ્લાન કોર્ટ સમક્ષ મૂકવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે., ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પતંજલિ (Patanjali Ayurveda) દ્વારા એલોપેથીની જાહેરાતો વિરુદ્ધ અરજી દાખલ કરી છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી છે. IMAએ આ જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની અને તેમની સામે પગલાં લેવાની માંગણી કરી છે.