Navsari Protests: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આગામી દિવસોમાં પર્યાવરણ અને ખેતી માટે મોટું સંકટ ઊભું થવાની આશંકાએ સ્થાનિક નાગરિકો અને ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સાદડવેલ ખાતે આવેલી કાવેરી સુગર ફેક્ટરીની જમીન પર ‘ઇન્ડિયન પોટાશ લિમિટેડ’ (IPL) કંપની દ્વારા નવું યુનિટ શરૂ કરવાની હિલચાલ તેજ થતાં જ હજારોની સંખ્યામાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ગામમાં રાસાયણિક ખાતર એટલે કે કેમિકલ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન શરૂ થવાની પ્રબળ આશંકાને પગલે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

Navsari Protests: ફળદ્રુપ જમીન અને ભૂગર્ભ જળ દૂષિત થવાનો ભય
સાદડવેલ અને તેની આજુબાજુના અંતરિયાળ ગામો મુખ્યત્વે ખેતી પર નભે છે. અહીંની જમીન અત્યંત ફળદ્રુપ છે અને પિયત માટે શુદ્ધ પાણી ઉપલબ્ધ છે. સ્થાનિક આગેવાનો અને ખેડૂતોનો દ્રઢ આક્ષેપ છે કે જો અહીં રાસાયણિક ખાતર બનાવતી કંપની ધમધમતી થશે, તો તેની આડઅસર સીધી પર્યાવરણ પર પડશે. કંપનીના ઝેરી કેમિકલ યુક્ત વેસ્ટના કારણે આસપાસના અનેક ગામોની જમીન બંજર બની જશે અને ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ જશે, જેના કારણે ભવિષ્યમાં પીવાના પાણીની મોટી કટોકટી સર્જાઈ શકે છે.

Navsari Protests: સુગર ફેક્ટરી સામે વાંધો નથી, કેમિકલ કંપની સામે મંજૂરી નહીં
ગ્રામજનોએ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, જે તે સમયે સહકારી ધોરણે ખેડૂતોના હિત માટે કાવેરી સુગર ફેક્ટરી માટે જમીન આપવામાં આવી હતી. જો આ જમીન પર ફરીથી કોઈ સુગર ફેક્ટરી કે કૃષિ આધારિત ઉદ્યોગ શરૂ કરવામાં આવે તો સ્થાનિકોને કોઈ વાંધો નથી, કારણ કે તેનાથી રોજગારી વધશે અને પ્રદૂષણનો કોઈ મોટો ખતરો નહીં રહે. પરંતુ, ખેતી અને માનવ સ્વાસ્થ્યના ભોગે પ્રદૂષણ ફેલાવતી આવી મોટી રાસાયણિક કેમિકલ કંપનીને કોઈ પણ સંજોગોમાં અહીં પગ પેસારો કરવા દેવામાં આવશે નહીં.

Navsari Protests: પેટ્રોલ પંપથી રાનકુવા સર્કલ સુધી ભવ્ય જનજાગૃતિ રેલી
પોતાનો પ્રચંડ વિરોધ નોંધાવવા માટે સાદડવેલ અને આજુબાજુના ગ્રામજનો દ્વારા એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
- રેલીનો માર્ગ: આ રેલી સાદડવેલ તાતીખાડી પાસે આવેલા પેટ્રોલ પંપથી શિસ્તબદ્ધ રીતે શરૂ થઈ હતી અને મુખ્ય માર્ગો પરથી પસાર થઈને રાનકુવા સર્કલ સુધી પહોંચી હતી.
- ગામના પાદરે સભાઓ: રેલીના માર્ગમાં આવતા તમામ ગામોના પાદરે રેલીને થોડીવાર માટે વિરામ આપવામાં આવ્યો હતો. ત્યાં એકત્રિત થયેલા સ્થાનિક લોકોને રાસાયણિક કંપનીથી થનારા નુકસાન અંગે માહિતગાર કરી, ભવિષ્યની પેઢીને બચાવવા માટે જાગૃત થવા અને આ લડતમાં જોડાવા આહ્વાન કરાયું હતું.
હાલમાં તો જનતાની નારાજગી અને વિરોધનું વંટોળ જોઈને વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. આગામી દિવસોમાં જો કંપની અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો અને સ્થાનિક સંગઠનો દ્વારા આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




