Mystery At Airport: અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 2.58 કરોડનું સોનું રહસ્યમય રીતે ગાયબ; આકાશા એરલાઇન્સ સામે છેતરપિંડીની ફરિયાદ

0
123
Mystery At Airport
Mystery At Airport

Mystery At Airport: ગુજરાતના સૌથી સુરક્ષિત ગણાતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ પરથી એક અત્યંત ચોંકાવનારી અને ફિલ્મ સ્ટાઈલની ઘટના સામે આવી છે. અમદાવાદથી ફ્લાઈટ મારફતે બેંગ્લોર મોકલવામાં આવેલું રૂપિયા 2.58 કરોડની કિંમતનું સોનું રસ્તામાંથી જ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું છે. આ હાઈપ્રોફાઈલ મામલામાં લોજિસ્ટિક્સ કંપનીએ પ્રાઈવેટ એરલાઇન્સ કંપની ‘આકાશા એર’ (Akasa Air) વિરુદ્ધ બેદરકારી અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Mystery At Airport

Mystery At Airport: 2 કિલોથી વધુ સોનાના દાગીના હતા પાર્સલમાં

મળતી વિગતો અનુસાર, આ મામલે મૂળ ન્યુ રાણીપના રહેવાસી અને લોજિસ્ટિક્સ કંપનીમાં સિક્યોરિટી મેનેજર તરીકે ફરજ બજાવતા રીછપાલસિંઘ રાઠોડે પોલીસમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે.

ગઈ ૧૮મી એપ્રિલના રોજ એક પ્રતિષ્ઠિત જ્વેલર્સ દ્વારા સોનાના દાગીનાના કુલ ૭ પાર્સલ બેંગ્લોર મોકલવા માટે આ લોજિસ્ટિક્સ કંપનીને સોંપવામાં આવ્યા હતા. જેમાંથી જે પાર્સલ ગુમ થયું છે, તેનું કુલ વજન આશરે ૧૩ કિલોગ્રામ હતું. આ બોક્સની અંદર ૨ કિલો ૧૦૭ ગ્રામ અને ૫૬૨ મિલીગ્રામ સોનાના દાગીના હતા, જેની વર્તમાન બજાર કિંમત અંદાજે રૂ. ૨.૫૮ કરોડ થાય છે. આ તમામ કિંમતી પાર્સલ આકાશા એરની ફ્લાઈટ નંબર QP-1901 મારફતે અમદાવાદથી બેંગ્લોર મોકલવાના હતા.

Mystery At Airport: અમદાવાદથી સાત લોડ થયા, બેંગ્લોરમાં છ જ મળ્યા!

ઘટનાક્રમ મુજબ, લોજિસ્ટિક્સ કંપનીએ ૧૮ એપ્રિલના રોજ વહેલી સવારે ૨:૧૫ વાગ્યે અમદાવાદ કાર્ગો એરપોર્ટ પર એરલાઇન્સના સ્ટાફને તમામ ૭ પાર્સલ સુરક્ષિત રીતે સોંપ્યા હતા અને તેની કાયદેસરની પહોંચ (Receipt) પણ મેળવી લીધી હતી. જોકે, ફ્લાઈટ જ્યારે બેંગ્લોર એરપોર્ટ પર લેન્ડ થઈ અને ત્યાં માલની ડિલિવરી લેવામાં આવી, ત્યારે સિક્યોરિટી સ્ટાફના હોશ ઉડી ગયા હતા. ત્યાં ૭ના બદલે માત્ર ૬ જ પાર્સલ મળી આવ્યા હતા, જેમાંથી કરોડોની કિંમતનું સોનાનું પાર્સલ ગાયબ હતું.

Mystery At Airport: એરલાઇન્સ સ્ટાફના વિરોધાભાસી જવાબોથી શંકા ઘેરી બની

આટલી મોટી રકમનો મુદ્દામાલ ગાયબ થતાં જ બંને એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. એરલાઇન્સના સ્ટાફની પૂછપરછ દરમિયાન ભારે વિરોધાભાસ સામે આવ્યો છે:

  • અમદાવાદ સ્ટાફનો દાવો: અમે એરપોર્ટ પરથી તમામ ૭ પાર્સલ ફ્લાઈટમાં બરાબર લોડ કરી દીધા હતા.
  • બેંગ્લોર સ્ટાફનો દાવો: ફ્લાઈટમાંથી જ્યારે સામાન ઉતારવામાં આવ્યો ત્યારે માત્ર ૬ જ પાર્સલ નીકળ્યા હતા.

પોલીસ ફરિયાદ: લાંબી આંતરિક પૂછપરછ અને તપાસ છતાં આકાશા એર કંપની આ ૨.૫૮ કરોડના ગુમ થયેલા પાર્સલ અંગે કોઈ યોગ્ય જવાબ કે સંતોષકારક માહિતી આપી શકી ન હતી. આખરે, એરલાઇન્સ કંપનીએ માલ મેળવી લીધા બાદ તેને નિયત સ્થળે ન પહોંચાડી ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ સાથે લોજિસ્ટિક કંપનીએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને અમદાવાદ અને બેંગ્લોર બંને એરપોર્ટના સીસીટીવી (CCTV) ફૂટેજ તેમજ કાર્ગો હેન્ડલિંગ સ્ટાફની ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી છે. એરપોર્ટની હાઈ-સિક્યોરિટી વચ્ચેથી આટલું મોટું પાર્સલ ક્યાં ગાયબ થયું, તે હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 મુંબઈએ લખનઉને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની વિસ્ફોટક ફિફ્ટી સાથે મુંબઈનો સૌથી મોટો રનચેઝ