Mob Violence in Bangladesh: બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે વધતી હિંસાના વધુ એક હચમચાવી દેનારા બનાવમાં નરસિંદી જિલ્લાના મસ્જિદ માર્કેટ વિસ્તારમાં એક હિંદુ યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે. 23 વર્ષીય ચંચલ ચંદ્ર ભૌમિકનો સળગેલો મૃતદેહ શુક્રવારે રાત્રે તે ગેરેજમાંથી મળ્યો, જ્યાં તે છેલ્લા છ વર્ષથી કામ કરતો હતો. પરિવાર અને સ્થાનિક હિંદુ સમુદાયે આ ઘટનાને સુનિયોજિત અને ક્રૂર હત્યા ગણાવી છે.
Mob Violence in Bangladesh: દુકાનમાં સૂતો હતો, બહારથી શટર લોક કરી આગ લગાવી

આ ઘટના નરસિંદી શહેરના પોલીસ લાઈન્સ નજીક આવેલા મસ્જિદ માર્કેટ વિસ્તારમાં બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ચંચલ રાત્રે કામ બાદ થાકીને ગેરેજની અંદર સૂઈ ગયો હતો. તે સમયે અજાણ્યા હુમલાખોરોએ બહારથી દુકાન પર પેટ્રોલ છાંટ્યું અને આગ લગાવી દીધી.
આગ ઝડપથી ફેલાઈ ગઈ અને શટર લોક હોવાથી ચંચલ અંદર જ ફસાઈ ગયો.
Mob Violence in Bangladesh: નજરેજોનારોનો ખુલાસો: “એક કલાક સુધી તડપતો રહ્યો”
સીસીટીવી ફૂટેજના આધારે સ્થાનિક દુકાનદાર રાજીબ સરકારે જણાવ્યું કે,
“આ કોઈ અકસ્માત નહોતો. કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક લોકો જાણી જોઈને શટરને આગ લગાવે છે.”
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ચંચલ લાંબા સમય સુધી આગમાં ફસાઈને મદદ માટે ચીસો પાડતો રહ્યો. આગ ઓલવવા માટે ફાયર સર્વિસને લગભગ એક કલાક લાગ્યો, પરંતુ ત્યાં સુધીમાં ચંચલ સંપૂર્ણપણે સળગી ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.
Mob Violence in Bangladesh: પરિવારનો એકમાત્ર કમાઉ દીકરો હતો ચંચલ

ચંચલ ચંદ્ર ભૌમિક કમિલા જિલ્લાના લક્ષ્મીપુર ગામનો રહેવાસી હતો. પિતા ખોકન ચંદ્ર ભૌમિકનું પહેલેથી જ અવસાન થઈ ચૂક્યું છે. ચંચલ બીમાર માતા અને બે ભાઈઓની જવાબદારી સંભાળતો હતો.
મોટો ભાઈ વિકલાંગ છે, જ્યારે નાનો ભાઈ હજુ અભ્યાસમાં છે. પરિવાર માટે ચંચલ જ એકમાત્ર કમાઉ સભ્ય હતો.
પરિવારજનોનું કહેવું છે કે,
“આ અકસ્માત નથી. આ સ્પષ્ટ રીતે સુનિયોજિત હત્યા છે. દોષિતોને કડક સજા મળવી જોઈએ.”
છેલ્લા 40 દિવસમાં 10 હિંદુઓની હત્યા
આ ઘટના પહેલા પણ 18 ડિસેમ્બર 2025ના રોજ મયમનસિંહ જિલ્લામાં હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસને ભીડે મારી નાખી તેની લાશ ઝાડ પર લટકાવી સળગાવવામાં આવી હતી.
અહેવાલો મુજબ, છેલ્લા 40 દિવસમાં બાંગ્લાદેશમાં 10થી વધુ હિંદુઓની હત્યા થઈ ચૂકી છે, જેને કારણે લઘુમતી સમુદાયમાં ભારે ભયનો માહોલ છે.
હિંદુ નેતાઓ અને માનવાધિકાર સંગઠનોનો આક્રોશ

સ્થાનિક હિંદુ નેતાઓએ ઘટનાની કડક નિંદા કરતા કહ્યું કે આ બર્બર અને અમાનવીય કૃત્ય છે. તેમણે દોષિતોની ઝડપી ધરપકડ અને લઘુમતીઓની સુરક્ષા માટે નક્કર પગલાં લેવાની માંગ કરી છે.
માનવાધિકાર કાર્યકર્તાઓએ પણ નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ ઉઠાવી છે.
પોલીસનું નિવેદન: “દોષિતોને છોડવામાં નહીં આવે”
નરસિંદી સદર મોડેલ પોલીસ સ્ટેશનના ઓસી એ.આર.એમ. અલ મામુનએ જણાવ્યું કે મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે.
પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે અને આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. અનેક ટીમો આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે કાર્યરત છે.
બાંગ્લાદેશમાં અસ્થિરતા બાદ લઘુમતીઓ પર હુમલા વધ્યા
2024ના સત્તાપલટ બાદ બાંગ્લાદેશમાં રાજકીય અને સામાજિક અસ્થિરતા વધી છે. ઇસ્લામિક સંગઠનોની સક્રિયતા વધતાં લઘુમતીઓ પર હુમલાઓમાં વધારો થયો છે.
મુસ્લિમ બહુમતીવાળા બાંગ્લાદેશમાં હિંદુ અને સૂફી મુસ્લિમ સહિત લઘુમતીઓની વસ્તી 10%થી પણ ઓછી છે.
ભારતે વ્યક્ત કરી ચિંતા
ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ કહ્યું હતું કે,
“અમે બાંગ્લાદેશમાં લઘુમતીઓ અને તેમની સંપત્તિઓ પર વારંવાર થતા હુમલાઓની ચિંતાજનક પેટર્ન જોઈ રહ્યા છીએ. આવી ઘટનાઓનો તાત્કાલિક અને કડક ઉકેલ આવશ્યક છે.”




