Midnight Demolition in Rajkot:રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ટ્રાફિકને અડચણરૂપ હોવાનું કહીને મધરાતે 12 જેટલા ધાર્મિક સ્થળો પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. લોકોના વિરોધથી બચવા માટે તંત્રએ રાત્રે 1:30 વાગ્યે ફાયર બ્રિગેડ, PGVCL અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી. માલવિયા નગર વિસ્તારમાં સૌથી વધુ 9 મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા.
Midnight Demolition in Rajkot: મુખ્ય વિગતો:

- ડિમોલિશન: રાત્રે 1:30 થી સવારે 5 વાગ્યા સુધી ચાલી કામગીરી.
- વિરોધ: મવડી રોડ પર સ્થાનિકોએ રામધૂન બોલાવી, હનુમાન મંદિર બચાવ્યું.
- રાજકીય રોષ: “હિન્દુત્વના નામે મત લીધા અને હવે મંદિરો નડે છે?” – સ્થાનિકોનો ભાજપ પર પ્રહાર.
- તંત્રની દલીલ: ટ્રાફિકને અડચણરૂપ હોવાથી ધાર્મિક દબાણો દૂર કરાયા.
Midnight Demolition in Rajkot: “મંદિરો પબ્લિકને નહીં, ભાજપને નડે છે”

મવડી મેઈન રોડ પર આવેલા 40 વર્ષ જૂના કેસરિયા હનુમાન મંદિરને તોડવા જતાં જ જનરેલો ઊમટી પડ્યો હતો. સ્થાનિકોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી હતી અને તંત્રના અધિકારીઓ સાથે ઉગ્ર રકઝક કરી હતી.
સ્થાનિક હિતેશભાઈ ડાભીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે: “આજે જે કોર્પોરેટરો સત્તામાં છે, તે મત મળી ગયા એટલે આરામથી સૂતા છે. હિન્દુત્વના નામે સત્તા મેળવી અને હવે હિન્દુઓના જ મંદિરો તોડે છે? જતા ધારે તો સત્તા ઉખેડી ફેંકતા વાર નહીં લાગે.”
Midnight Demolition in Rajkot: ભેદભાવના આક્ષેપો

સ્થાનિકોએ તંત્ર પર ભેદભાવના ગંભીર આક્ષેપો કર્યા હતા. લોકોએ દલીલ કરી હતી કે મંદિરથી 500 મીટર દૂર રસ્તા પર દરગાહ આવેલી હોવા છતાં તેને કેમ નોટિસ નથી અપાતી? માત્ર હિન્દુઓની આસ્થાના કેન્દ્રો જ કેમ તોડવામાં આવે છે? ઉગ્ર વિરોધને જોતા તંત્રએ કેસરિયા હનુમાન મંદિરના બદલે માત્ર તેનો ઓટો તોડ્યો હતો અને મંદિરને 48 કલાકમાં નાનું કરવાની સ્થાનિકોને ખાતરી આપી હતી.
તંત્રની કામગીરી પર સવાલ

માલવિયા નગર પોલીસ મથકના 5 PSI અને 60 જેટલા જવાનોની હાજરીમાં આખું ઓપરેશન પાર પડ્યું હતું. મેલડી માતાના મંદિરને પણ ખાલી કરાવી તોડી પાડવામાં આવ્યું હતું. દુકાનદારોનું કહેવું છે કે આ મંદિરોથી અમને કોઈ તકલીફ નથી, તો સરકારને કેમ નડે છે?
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મોંઘવારીનો ડામ 2 વર્ષ બાદ પેટ્રોલ-ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો, ખેતી અને પરિવહન થશે મોંઘા!




