Kunvarji Bavaliya:અખિલ ભારતીય કોળી સમાજની એકતા અને સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે સુરતમાં ‘સંગઠન વિચાર વિમર્શ’ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સમાજમાં આંતરિક ખેંચતાણ ઉભી કરનારા અને ભ્રમણા ફેલાવનારા તત્વો સામે આકરા પ્રહારો કર્યા હતા.
Kunvarji Bavaliya:સંગઠનમાં ભંગાણ પાડનારા તત્વોથી સાવધ રહેવા અપીલ

બેઠકને સંબોધતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ જાહેર કરી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે:
- સંગઠનનું પ્રકરણ અત્યારે દિલ્હી કોર્ટ અને રજિસ્ટ્રાર કચેરીમાં પેન્ડિંગ છે.
- જ્યાં સુધી કોર્ટનો આખરી નિર્ણય ન આવે અને નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી વર્તમાન ટીમ જ કાર્યકારી તરીકે જવાબદારી સંભાળશે.
- ગેરબંધારણીય રીતે હોદ્દાઓ ધારણ કરનારા તત્વો સામે સમાજે સજાગ રહેવાની જરૂર છે.
Kunvarji Bavaliya:5 રાજ્યોના આગેવાનોની ઉપસ્થિતિ

આ બેઠકમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એમ પાંચ રાજ્યોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ ઉમેદભાઈ, ચંદ્રવદનભાઈ અને વિવિધ જિલ્લાઓના વરિષ્ઠ આગેવાનોએ પણ હાજરી આપી સંગઠનની એકતા પર ભાર મૂક્યો હતો.
ગાંધીનગરમાં શિક્ષણનું ધામ: ‘કોળી સમાજ ભવન’
સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે બાવળિયાએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, ગાંધીનગર ખાતે ટૂંક સમયમાં જ ‘સમસ્ત કોળી સમાજ ભવન’ નું નિર્માણ કરવામાં આવશે. આ માટે જમીનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ ભવન સમાજના દીકરા-દીકરીઓ માટે શિક્ષણનું કેન્દ્ર બનશે અને સમગ્ર ગુજરાતના નાના-મોટા સંગઠનોને એક કરી સામાજિક રીતે શિક્ષણ તરફ દોરવામાં આવશે.
હજીરામાં શ્રમિક-ઉદ્યોગ ઘર્ષણ મામલે મધ્યસ્થી
શ્રમ અને રોજગાર મંત્રી તરીકે કુંવરજી બાવળિયાએ હજીરામાં થયેલા શ્રમિકોના ઘર્ષણ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે:
- શ્રમિકોને અન્યાય ન થાય અને ઉદ્યોગોને પણ અડચણ ન પડે તે રીતે સંકલન સાધવા અધિકારીઓને સૂચના અપાઈ છે.
- દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે સ્થાનિક યુવાનોને ‘નવી સ્કીલ’ સાથે તૈયાર કરવામાં આવશે, જેથી રોજગારીની તકો વધે.
આ પણ વાંચો :ગુજરાત બનશે ભારતનું ‘સિલિકોન ગેટવે’: 2026માં જ વધુ 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટના થશે શ્રીગણેશ




