Jayraj Ahir Sent to Jail:નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસ વધુ કડક બની છે. તપાસ દરમિયાન માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની સંડોવણી સામે આવતા તેની 24 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આજે જયરાજ આહીરને ભાવનગર આઈજી ઓફિસથી પોલીસ કાફલા સાથે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
Jayraj Ahir Sent to Jail:કોર્ટમાં રજૂઆત, જામીન અરજી ફગાવી

મહુવા કોર્ટમાં જયરાજ આહીરને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જયરાજ તરફથી જામીન અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટએ ગંભીરતા ધ્યાનમાં લઈને જામીન અરજી નામંજૂર કરી દીધી. જામીન ફગાવાતા જ જયરાજ આહીર જેલભેગો થવાનો માર્ગ સ્પષ્ટ થયો છે.
Jayraj Ahir Sent to Jail:SITની તપાસમાં પુરાવા મજબૂત
SIT દ્વારા છેલ્લા 27 દિવસથી ચાલી રહેલી તપાસ દરમિયાન આરોપીઓ વચ્ચેના મોબાઈલ સંપર્કો, લોકેશન ડેટા, CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસમાં જયરાજ આહીરની ભૂમિકા સ્પષ્ટ થતી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
Jayraj Ahir Sent to Jail:પોલીસની ભૂમિકા પણ તપાસના દાયરામાં

પ્રાથમિક માહિતી મુજબ SITની તપાસમાં સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. તપાસ દરમિયાન કેટલીક ગંભીર લાપરવાહીઓ બહાર આવતાં SITએ સ્થાનિક પોલીસની ભૂમિકા પણ ચકાસણી હેઠળ લીધી હોવાનું જાણવા મળ્યું છે.
કોળી સમાજમાં ઉજવણી
જયરાજ આહીરની ધરપકડ અને જામીન નામંજૂર થતા કોળી સમાજના લોકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. કેટલાક વિસ્તારોમાં ફટાકડા ફોડી સત્યના વિજયના નારા લગાવવામાં આવ્યા હતા.

અત્યાર સુધી 14 આરોપીઓ ઝડપાયા
ઉલ્લેખનીય છે કે આ કેસમાં SIT દ્વારા અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. SITનું કહેવું છે કે કેસની તલસ્પર્શી તપાસ હજુ ચાલુ છે અને જે કોઈ પણ દોષિત હશે તેને કાયદાની પકડમાંથી છોડવામાં આવશે નહીં.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
જયરાજ આહીરની પૂછપરછ અને કોર્ટ રજૂઆત દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી તેમજ મહુવા કોર્ટ પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામીન અરજી નામંજૂર થયા બાદ જયરાજ આહીરને પોલીસ કાફલા સાથે ભાવનગર રવાના કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :A Nation Salutes Him: સુરતના સિક્યુરિટી ગાર્ડને PMOનો ફોન 26 જાન્યુઆરીની પરેડ જોવા દિલ્હીનું વિશેષ આમંત્રણ




