Jawahar Chavda : લોકસભા પહેલા પ્રદેશ ભાજપને લાગી શકે છે મોટો ઝટકો. ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે. જવાહર ચાવડા ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે. જવાહર ચાવડા કૉંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 2019માં જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.

Jawahar Chavda : લોકસભાની ચૂંટણી જાહેર થયાને 8 દિવસ થઈ ગયા છે. તેની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી પણ આવી રહી છે. તેમા પણ ભાજપ અને કોંગ્રેસે 5 વિધાનસભાની પેટાચૂંટણી માટે એકપણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ચાર દિવસથી જવાહર ચાવડાની ઘર વાપસીએ જોર પકડ્યું છે.
Jawahar Chavda : પાર્ટી બદલાશે પણ ચહેરા એના એ જ હશે?

થોડા દિવસ પહેલા જ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. જેને પગલે આ સીટની પેટાચૂંટણી પણ થવાની છે. યોગાનુયોગ 2019ની લોકસભા ચૂંટણીની સાથે માણાવદર બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી અને આ વખતે પણ એ જ સ્થિતિ છે. 2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ ધારણ કરતા પેટાચૂંટણી કરવી પડી હતી અને આ વખતે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપ જોઇન કરતા પેટાચૂંટણી આવી પડી છે. તે સમયે લાડાણી કોંગ્રેસમાંથી તો જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા.
જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી માનવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારની નામ પર મહોર મારવાની બાકી છે. પરંતુ આ સીટ પરથી લડવા માટે જવાહર ચાવડા પણ તત્પર છે. જેથી તેઓ ભાજપથી નારાજ છે અને નવાજૂની કરવાના મૂડમાં હોય એમ લાગી રહ્યું છે. સત્તાવાર રીતે આ વાતને કોઈ સમર્થન આપી રહ્યા નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં આ વાતને સાચી માનવામાં આવી રહી છે.
Jawahar Chavda : લાડાણીએ કેસરિયા કર્યા પણ જવાહર ચાવડા દૂર રહ્યા

14 માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં માણાવદર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટમંત્રી જવાહર ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી. આ સાથે જ તેમની નારાજગીની ફરી ચર્ચાઓ શરૂ થઈ હતી.
Jawahar Chavda : માંડવિયાની મિટિંગથી પણ અંતર જાળવ્યું

તાજેતરમાં જ પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માંડવિયાએ કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 75 ટકા મતદાન થશે તો અરવિંદ ભાઈને લીડ આવશે. આ નિવેદનથી એક વાત જાહેર થઈ ગઈ છે કે, પેટાચૂંટણી માટે અરવિંદ લાડાણીનું નામ નક્કી છે. તો બીજી તરફ આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા. જવાહર ચાવડા આવે છે અને આવશેની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહોતા.
IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો