મધ્ય પૂર્વમાં વધતા Iran Israel તણાવની સીધી અસર હવે સુરતના અર્થતંત્ર પર પડવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. શહેરની કરોડરજ્જુ ગણાતા ટેક્સટાઇલ, હીરા અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. તાજેતરમાં ડાયમંડ જ્વેલરી પર ટેરિફમાં રાહત મળતાં વેપારીઓમાં આશા જાગી હતી, પરંતુ યુદ્ધના ભણકારાએ બજારમાં અનિશ્ચિતતા ઊભી કરી છે.

જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે એર કાર્ગો ફ્લાઇટ્સ રદ થતાં સુરત અને મુંબઈના એરપોર્ટ પર કરોડો રૂપિયાનો તૈયાર માલ અટવાઈ ગયો છે. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતા નિકાસ સમયસર થઈ શકતી નથી. વેપારીઓને ભય છે કે જો સ્થિતિ લાંબી ચાલે તો વિદેશી ખરીદદારોના પેમેન્ટ અટવાઈ શકે. ભારતની કુલ જ્વેલરી નિકાસમાંથી આશરે 35 ટકા માલ અમેરિકા જાય છે, જ્યારે 8થી 10 ટકા નિકાસ ઈરાન અને ગલ્ફ દેશોમાં થાય છે. માંગમાં ઘટાડો થવાની ભીતિ વચ્ચે નાના રત્ન કલાકારો પર સૌથી વધુ અસર થવાની સંભાવના છે.
Iran Israel : યુદ્ધથી હીરા ઉદ્યોગને પડશે મોટો ફટકો
Iran Israel : ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ગુજરાત પ્રમુખ નૈનેષ પચ્ચીગર અને ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતાને કારણે નવા ઓર્ડર ધીમા પડી રહ્યા છે. ખાસ કરીને દુબઈ આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય કેન્દ્ર હોવાથી ત્યાં વિક્ષેપ થાય તો રફ ડાયમંડ ટ્રેડિંગ પર અસર પડે છે. હાલમાં 60થી 65 ટકા રફ ટ્રેડિંગ ટેન્ડરિંગ દુબઈમાં થાય છે. ફ્લાઇટ રદ થવાથી વેપારીઓ સમયસર ટેન્ડરમાં હાજરી આપી શકતા નથી, જેના કારણે સપ્લાય ચેઇનમાં વિલંબ થઈ રહ્યો છે.

Iran Israel war ની અસર કાપડ માર્કેટને મરણતોલ ફટકો પડશે
ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ પરિસ્થિતિ ચિંતાજનક છે. સુરતમાંથી મેન-મેડ ફાઈબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝ મોટા પાયે ગલ્ફ દેશોમાં નિકાસ થાય છે. નૂર (ફ્રેઇટ ચાર્જ) વધવા અને શિપિંગ અવરોધ સર્જાતા નિકાસ ઠપ્પ થવાની શક્યતા છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના હોદ્દેદારો મુજબ, યુદ્ધ લાંબું ચાલે તો ટેક્સટાઇલ ઉદ્યોગને ‘મરણતોલ ફટકો’ પડી શકે છે.

વિશ્વભરમાં ચાલી રહેલી અનિશ્ચિતતા—રશિયા-યુક્રેન સંઘર્ષથી લઈને મધ્ય પૂર્વના તણાવ સુધી—વિદેશી બજારોને અસ્થિર બનાવી રહી છે. પરિણામે ખરીદદારો નવા ઓર્ડર આપવા ખચકાઈ રહ્યા છે. ઉદ્યોગજગત માને છે કે જો તણાવ ટૂંક સમયમાં શમશે તો નિકાસ ફરી ગતિ પકડી શકે, પરંતુ લાંબા ગાળે સ્થિતિ યથાવત રહે તો હજારો શ્રમિકો અને નાના વેપારીઓની રોજીરોટી પર સીધી અસર પડશે.
ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને પરિસ્થિતિ પર કડક નજર રાખી લોજિસ્ટિક સપોર્ટ અને નાણાકીય રાહત અંગે જરૂરી પગલાં લેવા અપીલ કરી છે. હાલ સુરતના વેપાર વર્તુળોમાં અનિશ્ચિતતાનો માહોલ છે અને તમામની નજર વૈશ્વિક પરિસ્થિતિ પર ટકેલી છે.
વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




