પાર્ટીમાંથી મને સહકાર મળતો નથી- ભાજપ સાંસદનું દુ:ખ છલકાયું

0
140

ભાજપ સિનિયર સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર મનદુઃખ ઠાલવ્યું છે. પાર્ટીમાંથી તેઓને સહકાર આપવામાં આવ્યો નહિ હોવાની વ્યથા વ્યક્ત કરી છે.

ભરૂચ BJP સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર કાઢેલી ભડાસમાં કહ્યું છે કે, ચૈતર વસાવા ધારાસભ્ય ન હતા ત્યારે પણ સરકારી અધિકારીઓ અને ભાજપ સરકાર વિરુદ્ધ બેફામ બોલતા આવ્યા છે, અને ધારાસભ્ય બન્યા પછી એમને જે સંયમ અને મર્યાદા રાખવી જોઈએ.

ધારાસભ્ય ને શોભે તે પ્રકારનું વર્તન હોવું જોઈએ જેમાં જવાબદાર આગેવાન તરીકે તેવો નિષ્ફળ ગયા છે અને રાતોરાત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સરકાર વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં અને પાર્ટીનાં આગેવાનોના વિરોધમાં બેફામ ઉચ્ચારણો કરી રહ્યા છે. જેમકે કલેકટર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ, ફોરેસ્ટ વિભાગ પર ચા-પાણી માટેનો કરોડો રૂપિયાનો ખર્ચનો ખોટો આરોપ તથા સરકાર ને બદનામ કરવાના અનેક પ્રયાસો કર્યા છે. કોઈપણ બાબતે યોગ્ય જગ્યાએ રજુઆત કરવાના બદલે લોકોની વચ્ચે જઈ ડ્રામા કરવાનાં કાર્યક્રમો કરી રહ્યા છે.

તાજેતરમાં ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીનું સંમેલન હતું. જે સંમેલનમાં આપ ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આવ્યા હતા. સંમેલનમાં ભાજપનાં ધારાસભ્ય, સંસદ સભ્ય અને ભાજપ સરકાર પર નિમ્ન કક્ષાના જે શબ્દપ્રયોગ કર્યા છે. ભાજપના ધારાસભ્ય અને સંસદ ને ચપરાસી કહ્યા છે તેનો ખુલાસો મેં મીડિયાનાં મિત્રો સમક્ષ કર્યો અને આમ આદમી પાર્ટીના નેતાઓ કેવા છે તે મીડિયા સમક્ષ જડબાતોડ જવાબ આપ્યૉ..

જે બાબત થી નારાજ થઈ બિલકુલ આધાર વિહોણા નનામા પત્ર બાબતે ચૈતર વસાવાએ મુદ્દો ઉછાળ્યો તે બાબતે 18 માર્ચની જિલ્લા સંકલનની બેઠક દરમિયાન અધિકારી તથા તેઓની હાજરીમાં ખુલાસો થઈ ગયો. જિલ્લાના હિતમાં સરકારી ગ્રાન્ટનો સદઉપયોગ થાય તેમજ પદાધિકારી અને અધિકારી બધા સાથે મળીને ચર્ચા કરવી તે બાબતે પણ વાત થઈ ગયેલી છતા પણ નનામી પત્રનો આધાર લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની ચડામણી થી ચૈતરભાઈએ ઓપન ડિબેટની માંગણી કરી.

જેનો મેં સ્વીકાર કર્યો જે પેહલી એપ્રિલના રોજ આયોજીત થવાની હતી. આ ડિબેટ ફક્તને ફક્ત નર્મદા જીલ્લા પુરતી હતી પરંતુ કાર્યક્રમને ડિબેટના બહાને આપના લોકો પ્રદેશભરના આમ આદમી પાર્ટીના લોકોને ભેગા કરી વાતાવરણ ડહોળવાનો અને ડિબેટને ટાળવાનો પ્રયાસ કર્યો. તેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ આવા માહોલમાં ડિબેટનો કાર્યક્રમ ન રાખવો તેવું ધ્યાન દોર્યું.

પ્રદેશના પાર્ટીના નેતૃત્વએ પણ આ કાર્યક્રમ ન કરવો તેવું જણાવ્યું. તેનો અમને આંનદ છે પરંતુ હમેંશા પાર્ટીની વિરોધમાં કામ કરનારા, પાર્ટીની સામે સમયે – સમયે બળવો કરનારા અને તેમની સાથે કેટલાક બીજા નેતાઓએ ડિબેટથી ડરી પાર્ટીમાં ઉચ્ચકક્ષાએ ખોટા – ખોટા કારણો બતાવી ડિબેટ રદ કરાવી તેનું મને ભારે દુઃખ છે.

આજે આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ અને મારા વિરોધીઓ આ ડિબેટ બંધ રહેવાથી ગેલમાં આવી ગયા છે તથા મારા વિરોધીઓ મારા માટે અલગ અલગ પ્રકારની કમેન્ટ કરે છે. તેની મને જરા પણ ચિંતા નથી સમય આવતા તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ.પરંતુ નર્મદા જિલ્લાની ધરતી પર આવી જે ધારાસભ્ય અને સંસદ સભ્ય ને ચપરાસી કહ્યા, નિમ્ન કક્ષાના શબ્દપ્રયોગ કર્યા, સરકાર પર પ્રહાર કર્યો આનો જવાબ આમ આદમી પાર્ટીના નેતાઓ ને આ ક્ષેત્રના ધારાસભ્ય એ તથા આગેવાનોએ આપવો જોઇતો હતો.

પરંતુ કોઈએ હિંમત બતાવી નથી. મેં પાર્ટી માટે ઘસાતુ બોલનારાઓને, મારા MLA- MP ને ચપરાસી કહેનારાઓને મેં હિંમતપૂર્વક ભાજપનું સન્માન જળવાઈ તે રીતમાં જવાબ આપ્યો છે. આમા મારો કોઈ અંગત સ્વાર્થ નથી. ભૂતકાળમાં પણ જેણે મારો ઈતિહાસ જોવો હોય તો જોઈ શકે છે જ્યારે જ્યારે પાર્ટી કે સરકારના વિરોધમાં પ્રહાર કર્યા હોય ત્યારે મેં જડબાતોડ જવાબ આપ્યા છે.

પરંતુ ધારાસભ્ય સંસદ સભ્યના વિરોધમાં બેફામ બોલે છે તેવા લોકોની સામે હું બોલ્યો છું તેના માટે પાર્ટીમાંથી મને સહકાર આપવાને બદલે મને દબાવવામાં આવે છે. તેનુ ભારે દુઃખ છે. આ લડાઈ મારી અંગત નથી. સરકાર અને ઘારાસભ્યોના સન્માન માટે હું લડુ છું, તેમ મનસુખ વસાવાએ મનદુઃખ જાહેર કર્યું છે.