Humanity First: પ્રવાસ દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક ઘટના સામે આવી છે, જેમાં ઊંઝાના એક પ્રવાસી પટેલે પરિવારની સમયસૂચકતા અને સાહસથી હોટલના 65 વર્ષીય વેઈટરનો ચમત્કારિક બચાવ થયો છે. ઉનાવાના અગ્રણી અને ઊંઝા APMCના પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ તેમજ ગામના સરપંચ ચિરાગ પટેલ સહિતનો પરિવાર હાલમાં જ માઉન્ટ આબુ ફરવા ગયો હતો. આ દરમિયાન બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

Humanity First: સ્વિમિંગ પૂલ પાસે સર્જાયો કટોકટીનો માહોલ
મૂળ માહિતી અનુસાર, સોમવારના રોજ સાંજના સમયે વિષ્ણુ પટેલ અને ચિરાગ પટેલ બંનેનો પરિવાર હોટલના સ્વિમિંગ પૂલ પાસે બેસીને નાસ્તો કરી રહ્યો હતો. તે જ સમયે હોટલના 65 વર્ષીય વેઈટર કિશનલાલ ટેબલ પર નાસ્તો સર્વ કરીને પરિવાર સાથે વાતચીત કરી રહ્યા હતા. અચાનક જ કિશનલાલને તીવ્ર હાર્ટ એટેક (હૃદયરોગનો હુમલો) આવ્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે તેઓ ક્ષણભરમાં જ ફ્લોર પર જોરથી પટકાયા હતા.
આ અંગે વિષ્ણુ પટેલે અખબારી અહેવાલમાં જણાવ્યું હતું કે, “અમે ટેબલ પર બેઠા હતા ત્યારે 65 વર્ષીય વેઈટરને એટેક આવતા તેઓ દૂર જઈને પટકાયા હતા. ફ્લોર પર પડવાનો અવાજ એટલો જોરદાર હતો કે જાણે કોઈ શ્રીફળ ફૂટ્યું ન હોય! નીચે પટકાવાના કારણે વેઈટરના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા.”

Humanity First: સમયસૂચકતા દાખવી આપી CPR અને મોંઢાથી શ્વાસ
આ કપરી અને ડરામણી ક્ષણે પણ પટેલ પરિવારે ઘભરાઈ જવાના બદલે અદ્ભુત સંયમ અને સમયસૂચકતા દાખવી હતી. વિષ્ણુ પટેલે તાત્કાલિક પોતાની જગ્યા છોડીને આગળ આવીને કિશનલાલને છાતીના ભાગે પમ્પિંગ કરીને CPR આપવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ તેમના નાના પુત્ર જય પટેલે મોં દ્વારા શ્વાસ (Rescue Breathing) આપીને બંધ પડેલા શ્વાસોચ્છવાસ અને ધબકારાને પુનઃ શરૂ કરવાના અથાગ પ્રયાસો કર્યા હતા. પરિવારના આ સામૂહિક પ્રયાસો રંગ લાવ્યા અને વેઈટરની નાડી ફરી ધબકતી થઈ હતી. પટેલ પરિવારે પોતાના ઘરના સભ્યની જેમ માવજત કરીને કિશનલાલને નવજીવન બક્ષ્યું હતું.

Humanity First: પાલનપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ
પ્રાથમિક તબક્કે હોટલ મેનેજમેન્ટને જાણ કરીને કિશનલાલને તાત્કાલિક માઉન્ટ આબુની સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સીટી સ્કેન, એમ.આર.આઈ અને અન્ય વિશેષ હાયર સેન્ટરની સારવાર માટે તેમને પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અન્ય વેઈટરો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, કિશનલાલને અગાઉથી બ્લડ પ્રેશર (Blood Pressure) ની જૂની તકલીફ હતી અને તેઓએ છેલ્લા બે દિવસથી નિયમિત લેવાની ટેબ્લેટ્સ (દવાઓ) પણ લીધી નહોતી, જેના કારણે આ ગંભીર હુમલો આવ્યો હોવાનું મનાય છે.

સદનસીબે, સમયસર CPR મળવાના કારણે વેઈટરનો જીવ બચી ગયો છે. હાલમાં માથાના ભાગે છ જેટલા ટાંકા આવ્યા હોવા છતાં પાલનપુર ખાતે ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમની તબિયતમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે. ઊંઝાના આ પટેલ પરિવારે ખરા અર્થમાં ‘દેવદૂત’ બનીને એક શ્રમિકનો જીવ બચાવીને સમગ્ર રાજ્યમાં માનવતાની એક અદ્ભુત મિસાલ બેસાડી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
પેટમાં તીવ્ર દુખાવો, સતત ઉલટી અને રક્તસ્રાવ જેવા સંકેતો દેખાય તો તાત્કાલિક તબીબી સારવાર જરૂરી

