અમે રાજે સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા જનતાને વચન આપ્યું હતું : પાયલોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની સરકારમાં ચાલેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક દિવસીય ઉપવાસ કર્યો હતો. જે હવે પૂર્ણ થયો છે. આ અંગે પાયલોટે કહ્યં છે કે, “વસુંધરાજીના કાર્યકાળ દરમિયાન જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે અમે ઘણા કૌભાંડો અને ભ્રષ્ટાચારના મામલાઓનો પર્દાફાશ કર્યો હતો. અમે જનતાને વચન આપ્યું હતું કે, જ્યારે અમે સરકારમાં આવીશું, અમે વસુંધરાજી અને ભાજપના શાસન દરમિયાન થયેલા તમામ કૌભાંડો સામે અસરકારક કાર્યવાહી કરીશું. હવે અમે સરકારમાં છીએ, 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી મેં ઊપવાસ કર્યો છે.” મહત્વનું છે કે, પાયલોટે અગાઉ કહ્યું હતું કે, આ અંગેનો પત્ર પણ ગેહલોત સરકારને લખવામાં આવ્યો હતો, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી.. આ અંગે હવે રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનમાં કોંગ્રેસના બે ફાંટા જોવા મળી રહ્યા છે.