Digital Clock Room Initiative:અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને આધુનિક સેવાઓના વિસ્તરણના ભાગરૂપે આજે (૧૦મી જૂન) એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પરિસરમાં અત્યંત આધુનિક એવી ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ સેવા શરૂ થવાને કારણે હવે મુસાફરો પ્રવાસ દરમિયાન સામાન સાચવવાની મોટી ચિંતામાંથી મુક્ત બનશે.
Digital Clock Room Initiative:રેલવેના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લોન્ચિંગ

આ આધુનિક સુવિધાના શુભારંભ પ્રસંગે આજે સવારે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ફીત કાપીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો અને લોકર સિસ્ટમની કાર્યપ્રણાલીની પ્રત્યક્ષ સમીક્ષા પણ કરી હતી.
Digital Clock Room Initiative:મુસાફરોને કેવી રીતે થશે ફાયદો?
ઘણીવાર અન્ય શહેરોમાંથી અમદાવાદ આવતા પ્રવાસીઓ અથવા કનેક્ટિંગ ટ્રેનની કલાકો સુધી રાહ જોતા મુસાફરો પાસે ઘણો સામાન હોય છે. ભારે સામાનના કારણે પ્રવાસીઓ ઈચ્છવા છતાં પણ રેલવે સ્ટેશનની બહાર નીકળી શકતા નથી. પરંતુ હવે આ ડિજિટલ લગેજ લોકર સુવિધાની મદદથી મુસાફરો પોતાનો નાનો-મોટો સામાન અત્યંત સુરક્ષિત રીતે લોકરમાં ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા જમા કરાવી શકશે.
ત્યારબાદ તેઓ સામાનની કોઈ પણ પ્રકારની ચિંતા વિના નિશ્ચિંત થઈને અમદાવાદ શહેરમાં ખરીદી કરવા, પર્યટન સ્થળોની મુલાકાત લેવા અથવા પોતાના અન્ય અગત્યના વ્યાપારિક કામો પતાવવા માટે જઈ શકશે.
પરંપરાગત ક્લોક રૂમ કરતાં વધુ સુરક્ષિત
રેલવે તંત્રના જણાવ્યાનુસાર, જૂના અને પરંપરાગત ક્લોક રૂમની સરખામણીએ આ નવી ‘ડિજિટલ લગેજ લોકર’ સેવા મુસાફરોને વધુ સુરક્ષિત, ઓટોમેટેડ અને સરળ ટેક્નોલોજી આધારિત અનુભવ પૂરો પાડે છે. આ લોકર ડિજિટલ પાસવર્ડ અથવા ક્યૂઆર કોડ આધારિત હોવાથી સામાનની ચોરી થવાનો કે અદલાબદલી થવાનો ભય રહેતો નથી. આ સુવિધાથી અમદાવાદ આવતા હજારો મુસાફરોને મોટો ફાયદો થશે.
આ પણ વાંચો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના: નીતિ આયોગની બેઠક સહિત દિલ્હીમાં યોજાશે મહત્વની મુલાકાતો




