CM Yogi Statement :બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તીખું નિવેદન આપ્યું છે. પ્રયાગરાજમાં જગદગુરૂ રામાનંદાચાર્યની 726મી જયંતિ સમારોહને સંબોધિત કરતા સીએમ યોગીએ કહ્યું કે, હિન્દુ સમાજમાં જાતિ, મત અને સંપ્રદાયના નામે ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ જ ભાગલા એક દિવસ વિનાશનું કારણ બની શકે છે. તેમણે કહ્યું કે, જે દ્રશ્ય આજે બાંગ્લાદેશમાં જોવા મળી રહ્યું છે, તે સમગ્ર હિન્દુ સમાજ માટે મોટી ચેતવણી છે.

CM Yogi Statement :બાંગ્લાદેશની હિંસા પર ‘કહેવાતા સેક્યુલર’ મૌન
સીએમ યોગીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થઈ રહેલી હિંસા પર વિપક્ષ અને સેક્યુલરિઝમનો દાવો કરનારા લોકો પર કડક પ્રહાર કર્યા. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, તેમ છતાં કહેવાતા સેક્યુલર લોકો સંપૂર્ણ મૌન છે.
યોગીએ કહ્યું, “એવું લાગે છે જાણે કોઈએ તેમના મોઢા પર ફેવિકોલ અથવા ટેપ ચોંટાડી દીધી હોય. ન તો કોઈ કેન્ડલ માર્ચ નીકળી રહી છે, ન તો કોઈ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.” તેમણે આ મૌનને સમાજ માટે ગંભીર ચેતવણી ગણાવી.
CM Yogi Statement :માઘ મેળામાં શ્રદ્ધાળુઓનો રેકોર્ડ
મુખ્યમંત્રીએ માઘ મેળા અંગે વાત કરતા જણાવ્યું કે, ગત પાંચથી છ દિવસમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, આ સંખ્યા સાબિત કરે છે કે સનાતન ધર્મ અને તેની આસ્થા આજે પણ જીવંત, મજબૂત અને પ્રબળ છે.
તેમણે આને સમાજની સામૂહિક આસ્થા, વિશ્વાસ અને એકતાની અનોખી શક્તિ ગણાવી.
CM Yogi Statement :હિન્દુ સમાજને તોડવાનું ષડયંત્ર
સીએમ યોગીએ ચેતવણી આપી કે, હિન્દુ સમાજને તોડવા અને ભાગલા પાડવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ડબલ એન્જિનની સરકાર સનાતન આસ્થાને મજબૂત કરવા માટે જનતા સાથે ખભે ખભા મિલાવીને ઊભી છે.
યોગી આદિત્યનાથે સમાજને અપીલ કરી કે, એકતાને નબળી પાડનારા કોઈપણ પ્રયાસોને રોકવા જોઈએ અને આવા તત્વોને આગળ વધવા ન દેવા જોઈએ.
‘આવનારો સમય સનાતન ધર્મનો’
મુખ્યમંત્રીએ પોતાના ભાષણના અંતમાં કહ્યું કે, જો સમાજ એકજૂટ થઈને દૃઢ સંકલ્પ સાથે આગળ વધશે તો આવનારો સમય સનાતન ધર્મનો હશે.
તેમણે અયોધ્યામાં ફરકાવવામાં આવી રહેલા સનાતન ધ્વજનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જે રીતે સનાતન ધર્મની ભવ્યતા અને દિવ્યતા આજે દેખાઈ રહી છે, તે રીતે આખા વિશ્વમાં તેની ઓળખ સ્વાભાવિક રીતે સ્થાપિત થશે.
યોગીએ ઉમેર્યું કે, જ્યારે સનાતન સમાજની એકતા અને શક્તિ વિશ્વ સામે આવશે, ત્યારે ક્યાંય પણ હિન્દુ સમાજ, ખાસ કરીને નબળા અને દલિત વર્ગ વિરુદ્ધ હિંસા કરવાનો સાહસ કોઈ કરી શકશે નહીં.
આ પણ વાંચો :PM Modi in Gujarat:PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે




