Bhavnagar Police Suicide Case:ભાવનગરમાં ફરજ બજાવતા પોલીસ જવાન દિગ્વિજયસિંહ ગોહિલના આપઘાત કેસમાં હવે કરણી સેનાએ ખુલ્લી દખલગીરી કરી છે. PSIના સતત માનસિક ત્રાસથી પોલીસ જવાને આત્મહત્યા કરી હોવાનું આક્ષેપ કરતાં શ્રીરાજપૂત કરણી સેના દ્વારા સરકાર અને પોલીસ તંત્રને 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો સમયમર્યાદામાં જવાબદાર PSI સામે કાર્યવાહી નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી છે.
Bhavnagar Police Suicide Case: ‘માનસિક રીતે મજબૂત યુવાને આપઘાત કર્યો, એટલે ત્રાસની ગંભીરતા સમજવી જોઈએ’

શ્રીરાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસમાં ભરતી થનારા યુવાનો શારીરિક તેમજ માનસિક રીતે અત્યંત મજબૂત હોય છે. છતાં જો કોઈ પોલીસ જવાનને આપઘાત કરવો પડ્યો હોય તો તેની પાછળનો માનસિક ત્રાસ કેટલો ગંભીર હશે તે સહેજે સમજાઈ શકે છે.
તેમણે સવાલ ઉઠાવ્યો કે અન્ય કેસોમાં સરકાર ત્વરિત કાર્યવાહી કરે છે, તો આ ગંભીર મામલે હજુ સુધી જવાબદાર PSI સામે FIR કેમ નોંધાઈ નથી?
Bhavnagar Police Suicide Case:સુસાઇડ નોટ દબાવવાની શંકા, તપાસમાં ચેડાંની ભીતિ

ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપ-પ્રમુખ ધર્મભાઈ ગોહિલ અને વીરભદ્રસિંહ જાડેજાએ ભાવનગરના SP સમક્ષ લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી હોવાની ચર્ચા છે, પરંતુ તે હજી સુધી જાહેર કરવામાં આવી નથી.
તેમનો આક્ષેપ છે કે જે PSI પર ત્રાસ આપવાનો આરોપ છે, તે જ તપાસ પ્રક્રિયામાં સામેલ હોય તો પુરાવા સાથે ચેડાં થવાની પૂરી શક્યતા રહે છે.
Bhavnagar Police Suicide Case: ‘ટાર્ગેટના દબાણમાં અધિકારીઓનો ટોર્ચર’
સમાજના આગેવાનોનું કહેવું છે કે સ્વાભિમાની પોલીસ જવાનો જ્યારે ટાર્ગેટ પૂર્ણ ન કરી શકે ત્યારે કેટલાક અધિકારીઓ દ્વારા તેમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે, જેનાથી આવા દુઃખદ બનાવો સર્જાય છે.
72 કલાકમાં ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન

કરણી સેનાએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે,
- જવાબદાર PSIની તાત્કાલિક બદલી અને સસ્પેન્શન કરવામાં આવે
- ટૂંકા ગાળામાં FIR નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ થાય
જો 72 કલાકમાં સંતોષકારક ન્યાય નહીં મળે તો ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ધર્મભાઈ ગોહિલે જણાવ્યું કે, “અમારો હેતુ સંઘર્ષ કરવાનો નથી, અમે તંત્ર અને સમાજ વચ્ચે સેતુ બનવા માંગીએ છીએ. પરંતુ જો પારદર્શક તપાસ નહીં થાય તો ન્યાય માટે ઝંપીશું.”




