Anti-Snake Venom: ગુજરાતમાં સર્પદંશ (સાપ કરડવા)ની સારવારને વધુ સચોટ અને અસરકારક બનાવવા માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કાર્યરત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) દ્વારા ગુજરાતના સ્થાનિક ઝેરી સાપોનું ‘ફ્રીઝ-ડ્રાઇડ’ (સુકવેલું) ઝેર તેલંગાણાની પ્રખ્યાત લાયસન્સ પ્રાપ્ત ફાર્મા કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. આ ઝેરની મદદથી હવે ખાસ ગુજરાતના સાપો માટે ‘પ્રદેશ-વિશિષ્ટ’ (Region-Specific) એન્ટી-સ્નેક વેનમ (રસી) તૈયાર કરવામાં આવશે, જે ટૂંક જ સમયમાં રાજ્યભરમાં ઉપલબ્ધ થઈ જશે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુના દરને નહિવત કરવાના ઉદ્દેશ્ય સાથે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.” ધરમપુરનું આ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની કડક માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાપોની જાળવણી અને ઝેર એકત્ર કરવાનું કામ કરે છે.

Anti-Snake Venom: ચાર મુખ્ય ઝેરી સાપોનું ૬૮.૫૭ ગ્રામ ઝેર સોંપાયું
ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) હેઠળ સંચાલિત SRI દ્વારા કંપનીને કુલ ૬૮.૫૭ ગ્રામ હાઈ-ક્વોલિટી ઝેર સોંપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ‘બિગ ફોર’ એટલે કે ચાર સૌથી વધુ ઝેરી સાપોના ઝેરનો સમાવેશ થાય છે:
| સાપની પ્રજાતિ | સોંપાયેલ ઝેરનું પ્રમાણ |
| ભારતીય નાગ (Indian Cobra) | ૩૩.૩૭ ગ્રામ |
| ખડચિતળો (Russell’s Viper) | ૩૦.૮૨ ગ્રામ |
| કાળોતરો (Common Krait) | ૨.૬૭ ગ્રામ |
| ફુરસા (Saw-scaled Viper) | ૧.૭૧ ગ્રામ |

Anti-Snake Venom: શા માટે ‘ગુજરાત સ્પેશિયલ’ રસી જરૂરી છે?
તબીબી નિષ્ણાતોના મતે, એક જ પ્રજાતિના સાપનું ઝેર પણ તેના ભૌગોલિક વિસ્તાર, આબોહવા અને ખોરાકના આધારે બદલાય છે. અત્યાર સુધી ગુજરાતમાં વપરાતી મોટાભાગની એન્ટી-વેનમ રસીઓ અન્ય રાજ્યોના સાપોના ઝેરમાંથી બનેલી હોવાથી તે ગુજરાતના દર્દીઓ પર હંમેશા સંપૂર્ણ અસરકારક સાબિત થતી નથી.

પ્રદેશ-વિશિષ્ટ રસીના ફાયદા:
- વધુ અસરકારક પરિણામ: સ્થાનિક સાપોના ઝેરથી બનતી હોવાથી દર્દીના શરીર પર તે ત્વરિત અસર કરશે.
- ઓછો ડોઝ: રસી અત્યંત સચોટ હોવાના કારણે દર્દીને ઓછા ઇન્જેક્શન (ડોઝ) આપવા પડશે.
- અંગોની સુરક્ષા: સર્પદંશના કારણે થતા ઓર્ગન ફેઇલ્યોર (કિડની કે અન્ય અંગો ફેઇલ થવા) જેવી ગંભીર સ્થિતિનું જોખમ નોંધપાત્ર રીતે ઘટશે.
SRIના વાઇસ ચેરમેન ડૉ. ડી.સી. પટેલે જણાવ્યું કે, આ રસી બનાવવા માટે સમગ્ર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી ઝેરી સાપો લાવીને આ ઝેર વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્ર કરવામાં આવ્યું છે.

Anti-Snake Venom: વર્ષ ૨૦૩૦ સુધીનો રાષ્ટ્રીય લક્ષ્યાંક થશે સિદ્ધ
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ‘નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઇટ એન્વેનોમિંગ’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશમાં સર્પદંશથી થતા મૃત્યુમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. ગુજરાત સરકારની આ પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમની પહેલ આ રાષ્ટ્રીય સ્વપ્નને સાકાર કરવામાં દેશભરમાં પથદર્શક સાબિત થશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગુજરાત પર મેઘરાજાનો પ્રકોપ, ૨૪ કલાકમાં ૧૬૪ તાલુકા તરબતર, અમરેલીમાં ૨૭ ઇંચ સાથે જળબંબોળ




