રાજ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદ ને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું હતું. હવે વડોદરા, ભરૂચ, નર્મદા ના પૂરગ્રસ્તોમાં લારી અને રેકડીવાળા માટે સહાય જાહેર કરવામાં આવી છે.
![NARMADA 2](https://vrlivegujarat.com/wp-content/uploads/2023/09/NARMADA-2-533x400.jpg)
નર્મદાના પૂરમાં નુકસાન સામે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં હવે લારી અને રેકડીવાળાને 5 હજારની સહાય ચૂકવાશે. નાની કેબિન-ગલ્લાવાળાને 20 હજારની સહાય ચૂકવાશે. મોટી કેબિન ધારકોને 40 હજારની સહાય ચૂકવાશે અને નાની અને મધ્યમ પાકી દુકાનવાળાને 85 હજારની સહાય ચૂકવાશે. મોટી દુકાન ધરાવનારને 7 ટકાના દરે 20 લાખની લોન સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના આધારે લારી અને રેકડીવાળાને સહાય ચૂકવાશે. સરકાર તરફથી સહાય મેળવવા માટે જે તે વેપારીએ મામલતદાર અને પાલિકા ચીફ ઓફિસરને અરજી કરવી પડશે. 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે.
આ પેકેજ વિશે મળતી માહિતી પ્રમાણે, નર્મદાના પૂરમાં નુકસાન સામે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં લારી રેકડી હોય તેઓને ઉચક રૂપિયા 5000 આપવામાં આવશે, જ્યારે સ્થાયી કેબિન 40 ફૂટ સુધીની હોય તેઓને રૂપિયા 20,000 ચૂકવવામાં આવશે. 40 ચોરસ ફૂટથી મોટી સ્થાયી કેબિન હોય તેઓને રૂપિયા 40,000 આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન હોય અને વાર્ષિક ટન ઓવર જીએસટી પ્રમાણે પાંચ લાખ રૂપિયા હોય તેઓને 85 હજાર રૂપિયા આપવામાં આવશે.
![NARMADA 3](https://vrlivegujarat.com/wp-content/uploads/2023/09/NARMADA-3-533x400.jpg)
પાકી મોટી દુકાન હોય અને જીએસટી પ્રમાણે પાંચ લાખથી વધુનો માસિકતાનો ટન ઓવર હોય તેઓને રૂપિયા 20 લાખ સુધીની લોન ઉપર ત્રણ વર્ષ સુધી 7% ના લેખે વ્યાજ મહત્તમ રૂપિયા પાંચ લાખ સુધી આવી સહાય મેળવનાર વેપારીઓ પાસે વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના પુરાવા આવશ્યક હશે. આ સહાય મેળવવા માટે 31-10-2023 સુધીમાં અરજી કરવાની રહેશે. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના કરવામાં આવશે. આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના 40 અને બે શહેર, વડોદરા જિલ્લાના 31 અને નર્મદા જિલ્લાના 32 ગામોને મળવાપાત્ર થશે.
સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું હતું રાહત પેકેજ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તારીખ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે. આ અંદાજ અહેવાલોના સંદર્ભમાં રાજ્ય સરકારે જે તે જિલ્લાના ખેડૂતોને થયેલ નુકસાન સામે સહાય રૂપ થવા માટે SDRF ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે.
આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના કૃષિ વિભાગે કૃષિ મંત્રીશ્રી રાઘવજી ભાઇ પટેલ ના પરામર્શ માં રહીને જાહેર કરેલા આ સહાય પેકેજ અનુસાર ખરીફ ૨૦૨૩-૨૪ ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ ₹૮,૫૦૦ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.
![NARMADA 4](https://vrlivegujarat.com/wp-content/uploads/2023/09/NARMADA-4-600x386.jpg)
આ ખરીફ ઋતુ ૨૦૨૩-૨૪ ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ ૩૩% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા ૧૭ હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ ₹ ૮,૦૦૦ પ્રમાણે મળીને કુલ રૂપિયા ૨૫,૦૦૦ સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.
બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા ૨૨,૫૦૦ ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર ₹૧૫,૦૦૦ મળી કુલ ૩૭,૫૦૦ સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે. બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹૨૨,૫૦૦ ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા ૧,૦૨,૫૦૦ ની સહાય મળીને કુલ ₹૧,૨૫,૦૦૦ ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.