Surat Mandates Food Safety Declaration for Restaurants: નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સુરત શહેરની તમામ રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્ટમાં જીએસટી (GST) નંબરની જેમ જ મોટા અક્ષરોમાં ‘ફૂડ સેફ્ટી ડિકલેરેશન’ બોર્ડ પ્રદર્શિત કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાના અમલથી ખાણી-પીણીની ગુણવત્તામાં પારદર્શકતા આવશે અને વાસી કે નબળી ગુણવત્તાનો ખોરાક પીરસતી પ્રવૃત્તિઓ પર કડક લગામ લાગશે તેવો તંત્રે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Surat Mandates Food Safety Declaration for Restaurants: ગ્રાહકો સીધો સંપર્ક કરી શકશે
આ નવા નિયમ અનુસાર, રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકો જરૂર પડે ત્યારે મહાપાલિકાના ફૂડ ઈન્સ્પેક્ટર કે સંબંધિત અધિકારીનો સીધો સંપર્ક કરી શકે તે માટે બોર્ડ પર વિશેષ વિગતો આપવી પડશે. જો ગ્રાહકોને ફૂડની ક્વોલિટી વિશે અસંતોષ થાય અને રેસ્ટોરન્ટ તરફથી યોગ્ય સહકાર ન મળે, તો ગ્રાહક તે વિસ્તારના ફૂડ સેફ્ટી ઓફિસરનો સીધો સંપર્ક કરીને ફરિયાદ નોંધી શકશે. આ માટે ડિકલેરેશન બોર્ડ પર ફૂડ સેફ્ટી ઓફિસરનું નામ, ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર સ્પષ્ટપણે પ્રદર્શિત કરવાના રહેશે.
Surat Mandates Food Safety Declaration for Restaurants: ડિકલેરેશન બોર્ડમાં દર્શાવવાની મુખ્ય વિગતો

રેસ્ટોરન્ટ ધારકોએ ગ્રાહકો વાંચી શકે તે રીતે મોટા અક્ષરોમાં નીચે મુજબની માહિતી દર્શાવવાની રહેશે:
- શુદ્ધ ડેરી પ્રોડક્ટ્સ: વાનગીઓમાં માત્ર શુદ્ધ દૂધ અને દૂધમાંથી બનેલી બનાવટો (જેમ કે દહીં, પનીર, ઘી, ચીઝ અને બટર)નો જ ઉપયોગ કરવામાં આવે છે.
- ડેરી એનાલોગ પર મનાઈ: સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારના ‘ડેરી એનાલોગ’ કે ‘મિલ્ક એનાલોગ’ એટલે કે બનાવટી કે નકલી દૂધ-પનીરનો ઉપયોગ કરાતો નથી.
- MSG મુક્ત ખોરાક: ખાદ્ય પદાર્થોમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક મોનોસોડિયમ ગ્લુટામેટ (MSG)નો ઉપયોગ કરવામાં આવતો નથી.
- ખાદ્ય તેલની વિગત: રસોઈમાં ચોક્કસ કયા બ્રાન્ડ કે પ્રકારના ખાદ્ય તેલનો ઉપયોગ થાય છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે.
- અધિકારીની માહિતી: ગ્રાહક સરળતાથી ફરિયાદ કરી શકે તે માટે વિસ્તારના ફૂડ સેફ્ટી ઓફિસરનું નામ, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ ફરજિયાત લખવાના રહેશે.
આ કડક વ્યવસ્થાથી રેસ્ટોરન્ટમાં આવતા પ્રત્યેક નાગરિક પોતે શું આરોગી રહ્યા છે તેની ચોક્કસ અને સચોટ માહિતી મેળવી શકશે. તંત્રના આ પગલાથી ખાદ્ય સુરક્ષાના માપદંડો વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો :સોનાની તેજી યથાવત, ચાંદીમાં મોટો કડાકો: વાયદા બજારમાં ભાવની ઉથલપાથલ

