India-UK Free Trade Agreement: આજથી ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચેના વેપાર સંબંધોમાં એક નવો સૂર્યોદય થયો છે. બંને દેશો વચ્ચે થયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) આજથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે. આ કરારને કારણે હવે ભારતીય ગ્રાહકો માટે બ્રિટિશ લક્ઝરી કારથી લઈને સ્કોચ વ્હિસ્કી સુધીની ઘણી વસ્તુઓ સસ્તી થશે.
India-UK Free Trade Agreement: શું બદલાશે તમારા ખિસ્સા પર?

આ કરારનો સૌથી મોટો ફાયદો ગ્રાહકોને ભાવમાં ઘટાડા સ્વરૂપે મળશે. યુકેથી આયાત થતી વસ્તુઓ પરનો સરેરાશ ટેરિફ (ટેક્સ) 15% થી ઘટીને 3% પર આવી જશે.
- સ્કોચ વ્હિસ્કી અને જિન: હવે સ્કોચ વ્હિસ્કી પરનો ટેક્સ 150% થી ઘટીને 75% થશે. પરિણામે, જે સ્કોચની બોટલ અત્યારે 5,000 રૂપિયામાં મળે છે, તે હવે 3,500 રૂપિયા આસપાસ મળી શકે છે.
- લક્ઝરી કાર: જગુઆર લેન્ડ રોવર અને રોલ્સ-રોયસ જેવી બ્રિટિશ લક્ઝરી કારો પરનો ટેક્સ 100% થી ઘટીને 10% સુધી આવી શકે છે, જેની સીધી અસર કિંમતોમાં 20-30% ના ઘટાડા તરીકે જોવા મળી શકે છે.
- ફેશન અને ફૂડ: બ્રાન્ડેડ કપડાં, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ, ચોકલેટ, બિસ્કિટ અને સોફ્ટ ડ્રિંક્સ પણ હવે સસ્તા ભાવે ઉપલબ્ધ થશે.
India-UK Free Trade Agreement: ભારત માટે શું છે ફાયદો?

આ કરાર માત્ર ભારતીય ગ્રાહકો માટે જ નહીં, પણ ભારતીય ઉદ્યોગો માટે પણ મોટા દ્વાર ખોલે છે:
- ટેક્સટાઇલ અને ચામડાનો ઉદ્યોગ: ભારતીય કપડાં, ચાદર, પડદા અને ચામડાની વસ્તુઓ પરનો ટેક્સ યુકેમાં શૂન્ય થઈ ગયો છે. આનાથી તિરુપ્પુર, સુરત અને લુધિયાણા જેવા ટેક્સટાઇલ હબને મોટો વેગ મળશે.
- નિકાસમાં ઉછાળો: બાસ્મતી ચોખા, મસાલા, ચા અને દરિયાઈ ઉત્પાદનો (ઝીંગા વગેરે) યુકેમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ મેળવશે.
- રોજગાર: ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં વધતી માંગને કારણે આગામી સમયમાં લાખો નવી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.
- MSME માટે સુવર્ણ તક: ભારતના 6 કરોડથી વધુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને યુકેના વિશાળ બજારમાં પ્રવેશ મળશે.
India-UK Free Trade Agreement: 2030 સુધીમાં વેપાર બમણો કરવાનું લક્ષ્ય
24 જુલાઈ 2025 ના રોજ પીએમ નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારથી વર્ષ 2030 સુધીમાં ભારત અને યુકે વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધીને 120 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે.
યુકેના હાઈ કમિશનર લિન્ડી કેમરને આ ક્ષણને “આધુનિક યુકે-ભારત ભાગીદારી માટે એક ઐતિહાસિક ક્ષણ” ગણાવી છે. આ ડીલ બંને અર્થવ્યવસ્થાઓ માટે વૃદ્ધિના એક નવા યુગની શરૂઆત કરશે, જેનો ફાયદો ગ્રાહકોથી લઈને મોટા નિકાસકારો સુધી દરેકને મળશે.
આ પણ વાંચો :સુરેન્દ્રનગરની ‘ભારત સીટ્સ’ કંપનીની કેન્ટીનના ભોજનમાં ગરોળી નીકળતા ખળભળાટ, 10થી વધુ કર્મચારીઓને ફૂડ પોઈઝનિંગ




